ખારવાસીઓ કબૂતરખાના પછી હવે ગાયોની સમસ્યાથી છુટકારો મેળવશે
ગાય
વર્ષોથી તેમના વિસ્તારમાં ગાયની સમસ્યા વેઠતા ખારના રહેવાસીઓ જલદીથી એમાંથી મુક્તિ મેળવવા માટે ઉત્સુક છે. ખારમાં ચોથા રસ્તા પરની ફુટપાથ લગભગ દસેક ગાયોએ રોકી રાખી છે. ગાયો ઊભી રહેતી હોવાથી રસ્તો તો રોકાય જ છે, પણ ગાયના છાણ પર પગ પડવાથી અનેક લોકો લપસી ગયા હોવાની ઘટના પણ બની છે તથા ગાયો સાથે તેમની ગંદકીના સામ્રાજ્યને કારણે દુકાનદારોની ગ્રાહકી પર પણ અસર પડતી હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે.
સ્થાનિક રહેવાસીઓએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે દાયકાઓથી સ્થાનિક દૂધવાળાઓ લગભગ દસેક જેટલી ગાયોને ખાર સ્ટેશન નજીકની ફુટપાથ પર, રસ્તાના સિગ્નલ કે લૅમ્પ પોસ્ટ સાથે બાંધીને રાખે છે. આ લોકો ગાયોની સંભાળ રાખતાં નથી તેમ જ તેમને સારો ખોરાક પણ આપતા ન હોવાથી ગાયો રસ્તા પર ફેંકાયેલાં, સડી ગયેલાં શાકભાજી ખાતી હોય છે. વ્યવસ્થિત ખોરાક ન આપવા ઉપરાંત ગાય સાથે બદવ્યવહાર પણ કરવામાં આવે છે. ગાય પીડાથી કણસતી હોવા છતાં પણ એના પગ બાંધીને એમને જાહેરમાં જ કોઈ ઇન્જેક્શન આપતા હોય છે.
ADVERTISEMENT
રસ્તા પર પડેલા ગાયના છાણથી બચીને ચાલવું લોકો માટે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે મુશ્કેલ બની રહે છે. સ્થાનિકોએ અનેક વાર પાલિકાના કર્મચારીઓને મળીને ગાયોની સમસ્યાનો નિકાલ લાવવા અનુરોધ કર્યો છે, પણ તેમનું કોઈ વ્યવસ્થિત કનેક્શન હોય એમ જણાય છે કેમ કે અમે પાલિકાના અધિકારીઓને લઈને જઈએ એ વખતે ગાય કે તેના માલિકો ત્યાં જોવા મળતા નથી. જોકે પછીથી તેઓ ફરી પોતાની જગ્યાએ આવી ગોઠવાઈ જતા હોય છે.
આ પણ વાંચો : સગીરાને પૉર્ન વિડિયો બતાવવા બદલ શખસને ત્રણ મહિનાની જેલ
પાલિકાના નિયમ મુજબ ગાયોને રસ્તા પર લૅમ્પ પોસ્ટ કે ફુટપાથ પર બાંધીને રાખવી ગેરકાયદે છે. રસ્તે રખડતી કે જાહેર સ્થળોએ બાંધીને રાખવામાં આવેલી ગાયના માલિકને ૨૫૦૦ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.