મુલુંડના સર્વોદય દેરાસરનાં કોરોના-સંક્રમિત જૈન સાધુઓની હાલત સુધારા પર
મુલુંડ સર્વોદયનગર જૈન દેરાસર
મુલુંડમાં કોરોનાના કેસ વધવાની સાથે મુલુંડ સર્વોદયનગર દેરાસરનાં ૨૦ મહારાજસાહેબ અને મહાસતીજીઓને કોરોનાનું સંક્રમણ થયું હતું. હાલમાં બધાં જ મહારાજસાહેબ અને મહાસતીજીઓની સ્થિતિ સુધારા પર છે. મુલુંડમાં કોરોના વાઇરસના આશરે ૮૦૦૦થી વધુ કેસ થઈ જવા આવ્યા છે જેમાં ૩૩૦ કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. મુલુંડ સર્વોદયનગર દેરાસરમાં સુરતથી મહારાજસાહેબ અને મહાસતીજીઓ ચોમાસુ કરવા આવ્યાં હતાં, જેમાં ગયા અઠવાડિયે દેરાસરમાં રહેતા બે મહારાજસાહેબ કોરોના-પૉઝિટિવ થયા હતા. ત્યાર બાદ એક પછી એક બધાં મહારાજસાહેબ અને મહાસતીજીઓમાં કોરોનાનાં લક્ષણ દેખાયાં હતાં. તરત બધાની કોરોના-ટેસ્ટ કરવામાં આવતાં ૧૬ મહાસતીજી અને ૬ મહારાજસાહેબ મળીને કુલ ૨૨ લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું.
કમિટીના મેમ્બરોએ આ વિષય પર પૂરતું ધ્યાન દઈને તરત ઇલાજ શરૂ કર્યો હતો. ઇલાજને પાંચ દિવસ થયા બાદ હાલમાં તમામની તબિયત સારી છે જેમાંના અનેક લોકોને હાલમાં કોઈ લક્ષણ નથી દેખાઈ રહ્યાં. મુલુંડ સર્વોદયનગર દેરાસરના કમિટી-મેમ્બર ચંપાલાલજી ડોલાનીએ જણાવ્યું હતું કે હાલમાં બધાં જ મહારાજસાહેબ અને મહાસતીજીઓની તબિયતમાં ખૂબ જ સુધારા પર છે. તેમને કોઈ લક્ષણ હાલમાં દેખાતાં નથી. આમાંના કેટલાંક આવતા અઠવાડિયે કોરોના-ફ્રી થઈ જશે.
ADVERTISEMENT
સાથે તેમણે અપીલ કરી હતી કે મહારાજસાહેબ અને મહાસતીજીઓના ખોટા મેસેજ વાઇરલ ન કરશો.