મુંબઈ : માત્ર 500 રૂપિયામાં દોઢ લાખનો કોરોના ઇન્શ્યૉરન્સ
ક.વી.ઓ. સમાજની દહિસરની નવનીત હૉસ્પિટલમાં કોરોનાની સારવાર થાય છે.
દુનિયાભરમાં કોરોનાને લીધે જબરદસ્ત પડકારજનક સ્થિતિ પેદા થઈ છે. આપદા એટલી મોટી છે કે ભારત જેવા વિશાળ જનસંખ્યા ધરાવતા દેશના તમામ લોકો સુધી આર્થિકથી માંડીને આરોગ્યની સેવા પૂરી પાડવાનું સરકાર માટે અશક્ય બન્યું છે. આવી પરિસ્થિતિમાં અનેક સેવાભાવી લોકો જરૂરિયાતમંદોને મદદરૂપ થવા માટે આગળ આવ્યા છે. કચ્છી વીસા ઓસવાળ (ક.વી.ઓ.) સમાજના મુંબઈ અને આસપાસ વસતા અંદાજે ૬૦૦૦ જેટલા કોવિડને લીધે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને મદદરૂપ થવા માટે કચ્છી જૈન ફાઉન્ડેશન અને શ્રી ક.વી.ઓ. જૈન મહાજન (મુંબઈ)એ પોતાની તિજોરી ખુલ્લી મૂકી દીધી છે. દર વર્ષે ૨૦ કરોડ રૂપિયા વાપરતી સંસ્થાએ બીજી બે સંસ્થા સાથે મળીને આ વખતે ૩૫ કરોડ રૂપિયાની મદદ કરવાની શરૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બન્ને સંસ્થા આરતી ફાઉન્ડેશન અને ધનવલ્લભ ચૅરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને કેવીઓ સમાજના મુશ્કેલીમાં મુકાયેલા જ્ઞાતિજનો માટે સંકટની સાંકળ બની છે. ચાર મહિનાથી કામકાજ બંધ હોવાથી સમાજના દરેક પરિવારને મહિને ૩૦૦૦થી ૫૦૦૦ રૂપિયા સુધીની આર્થિક મદદ છેલ્લા બે મહિનાથી કરવામાં આવી રહી છે અને આગામી થોડા મહિના સુધી એ ચાલુ રખાશે, જેમાં બેથી અઢી કરોડ રૂપિયાનો ખર્ચ સંસ્થા દાતાઓની મદદથી કરી રહી છે.
ADVERTISEMENT
કોરોનાના સંકટમાં આર્થિક મદદની સાથે અત્યારે જેની સૌથી વધારે જરૂર છે એ આરોગ્ય માટે પ્રીમિયમના માત્ર ૧૦ ટકા કે ૫૦૦ રૂપિયા ભરીને દોઢ લાખ રૂપિયાની મેડિક્લેમ ઇન્શ્યૉરન્સ (સંજીવની) પૉલિસી શરૂ કરી છે. સંસ્થાઓ દ્વારા મુંબઈમાં ૭ હૉસ્પિટલ ચલાવાઈ રહી છે, જેમાં કોવિડ-19ના જ્ઞાતિના દરદીને ૧૦થી ૫૦ હજાર રૂપિયામાં સારવાર અપાઈ રહી છે. જોકે એમાં પણ કોઈ એમ કહે કે આટલા રૂપિયા પણ નહીં આપી શકાય તો સંસ્થા પેમેન્ટ કરી દેતી હોવાનું જાણવા મળ્યું છે.
કચ્છનાં ૮૮ ગામમાં કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના પરિવારો રહે છે. આજની સ્થિતિને ધ્યાનમાં રાખીને માત્ર મુંબઈ જ નહીં, કચ્છમાં પણ આર્થિક મદદ પહોંચી શકે એ માટે ગામના મહાજનોના માધ્યમથી કામ થઈ રહ્યું છે. સ્કૂલ-કૉલેજ બંધ છે, પરંતુ ઑનલાઇન શિક્ષણ અપાઈ રહ્યું છે. જે જ્ઞાતિજન પાસે લૅપટૉપ નથી તેમને અઢી વર્ષમાં માત્ર ૧૦,૦૦૦ રૂપિયામાં લૅપટૉપ અપાઈ રહ્યાં છે.
કામકાજ બંધ હોવાથી લોકો પાસે અત્યારે હાથમાં રૂપિયા નથી એટલે વ્યક્તિ ફરીથી ધંધો શરૂ કરી શકે એ માટે સંસ્થાઓએ મુદ્રા લોન યોજના શરૂ કરી છે. અત્યારે આવી રીતે ૫૦૦ લૅપટૉપ આપવાની યોજના છે. જરૂર પડશે તો એ સંખ્યામાં વધારો કરવામાં આવશે.
કચ્છી જૈન ફાઉન્ડેશન અને કચ્છી જૈન મહાજનના ટ્રસ્ટી નવીન શાહે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમે ૨૦૦૫ના વર્ષથી જ્ઞાતિજનો માટે વિવિધ સેવાનાં કામ કરીએ છીએ. કોરોનાનું સંકટ બહુ મોટું હોવાથી ઘણા પરિવારો કામકાજ વિના આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાથી તેમને તમામ પ્રકારની મદદ મળી રહે એ માટે અમે દાતાઓના યોગદાનની સાથે અમારા ટ્રસ્ટની ૧૦ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પૂરેપૂરી વાપરવાનો નિર્ણય લીધો છે. આરતી ફાઉન્ડેશન અને ધનવલ્લભ ચૅરિટેબલ ટ્રસ્ટના ચંદ્રકાન્તભાઈ ગોગરી પણ અમારી સાથે જોડાઈને મદદરૂપ થઈ રહ્યા છે. આ સિવાય અસંખ્ય દાતાઓ આગળ આવી રહ્યા છે.’
કોરોનાનું સંકટ બહુ મોટું હોવાથી ઘણા પરિવારો કામકાજ વિના આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાથી તેમને તમામ પ્રકારની મદદ મળી રહે એ માટે અમે દાતાઓના યોગદાનની સાથે અમારા ટ્રસ્ટની ૧૦ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પૂરેપૂરી વાપરવાનો નિર્ણય લીધો છે.
- નવીન શાહ, કચ્છી જૈન ફાઉન્ડેશન અને કચ્છી જૈન મહાજનના ટ્રસ્ટી