મુંબઈ : મહામારીનો સામનો કરવા બનનારી હૉસ્પિટલનો પ્લાન અભરાઈએ
કસ્તુરબા હૉસ્પિટલ
મહામારીના મામલે બીએમસીની નબળી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખતાં ૫૦૦૦ બેડ ધરાવતી મલ્ટિ સ્પેશ્યલિટી-કમ-ઇન્ફેક્શિયસ ડિસિસિઝ હૉસ્પિટલ વિકસાવવાની યોજના પડતી મુકાઈ છે. એના સ્થાને બીએમસી મહામારીનો વધુ મક્કમતાથી સામનો કરવા માટે એની હદમાં આવેલી હૉસ્પિટલોને મજબૂત કરવાની યોજના ધરાવે છે.
ચેપી રોગની પણ સારવાર થઈ શકે એવી મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલની સંકલ્પનાની સૌપ્રથમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા જુલાઈમાં ચર્ચા કરવામાં આવી હતી. મુંબઈમાં કસ્તુરબા હૉસ્પિટલમાં ૧૨૫ બેડની ચેપી બીમારીઓની સુવિધા છે. ૫૦૦૦ બેડ ધરાવતી હૉસ્પિટલ ૨૦ એકરના પ્લૉટ પર ઊભી કરવાની હતી અને એ માટેનું ભંડોળ કૉર્પોરેશન તથા રાજ્ય સરકાર પાસેથી મળવાનું હતું, કારણ કે એ મુંબઈ અને એમએમઆર બન્નેને સેવા પૂરી પાડવાની હતી.
ADVERTISEMENT
એક બીએમસી અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે ‘અત્યારે અમે સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલ વિકસાવવા પર ધ્યાન નથી આપી રહ્યા. અમને વધુ ભંડોળની જરૂર હોવાથી એમાં હજી સમય લાગશે. બીએમસી એની સીમાની ૧૬ હૉસ્પિટલો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે ઇમર્જન્સીની સ્થિતિમાં સમર્પિત હૉસ્પિટલની ગરજ સારશે. બીએમસીની હદમાં આવેલી આ હૉસ્પિટલોની કુલ ક્ષમતા લગભગ ૫૦૦૦ બેડની છે.’
ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી. વેલારાસુએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હૉસ્પિટલ માટે જમીનસંપાદનની પ્રક્રિયામાં કોઈ પ્રગતિ થઈ નથી. અમે રાજ્ય સરકારને આ વિશે જાણ કરી છે.’ બીએમસી કસ્તુરબા હૉસ્પિટલમાં વધુ ૨૫૦ બેડ ઉમેરવાની યોજના ધરાવે છે અને એણે આગામી બજેટમાં આને માટે જોગવાઈ કરી છે. હૉસ્પિટલમાં વેન્ટિલેટર, એમઆરઆઇ જેવું અપગ્રેડેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવશે, જેથી તમામ ઇમર્જન્સીની સ્થિતિને પહોંચી વળાય.