ભિવંડીમાં પંજાબ કૉલોનીમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ થશે
પંજાબી કૉલોની
આઝાદી મળ્યાના ટૂંક સમય બાદ પાકિસ્તાનથી આવીને વસેલા સિખ અને પંજાબી આશ્રિતોનું રહેઠાણ બનેલી ભિવંડીની ૭૦ વર્ષ જૂની પંજાબ કૉલોની એના અંતિમ ચરણમાં હોય એમ જણાય છે. ગોવંડી ખાતે બિલ્ડિંગ પડવાની ઘટના બાદ બીએમસીએ સઘન કાર્યવાહી હાથ ધરીને પંજાબ કૉલોનીમાં આવેલી તમામ જર્જરિત ઇમારતો ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. ડિમોલિશનની યોજના ચાલી રહી છે અને એનો અમલ ઑક્ટોબરમાં શરૂ થશે. જોકે રીડેવલપમેન્ટ તથા વૈકલ્પિક આવાસની કોઈ વ્યવસ્થા ન થતાં રહેવાસીઓ આ મામલે સરકારી દરમ્યાનગીરીની ભલામણ કરી રહ્યા છે.
પંજાબ કૉલોનીની તમામ ૨૫ બિલ્ડિંગ જિર્ણ હાલતમાં છે અને બીએમસીએ ૧૯૯૯થી આ ઇમારતોને ખાલી કરવાની નોટિસ આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ આટલાં વર્ષોના કોર્ટ કેસ, રોષ તેમ જ રિડેવલપમેન્ટની પ્રક્રિયાને કારણે બીએમસીએ પાણી અને વીજળીનાં જોડાણ કાપી નાખવાનું શરૂ કર્યું હતું. તેણે ૧૪ ઇમારતોનાં જોડાણ કાપી નાખ્યાં છે.
ADVERTISEMENT
‘અમે આગામી સપ્તાહે બાકીની તમામ ઇમારતોનાં કનેક્શન કાપવાની યોજના ધરાવીએ છીએ, કારણ કે તમામ ઇમારતો જિર્ણશીર્ણ થઈ ગઈ છે અને હવે જોખમ લઈ શકાય તેમ નથી. ઇમારતોની ડિમોલિશનની પ્રક્રિયા ઑક્ટોબરમાં શરૂ થશે,’ તેમ વડાલા અને સાયનને સમાવતા એફ નોર્થ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર ગજાનન બેલ્લાલેએ જણાવ્યું હતું.