ભારે વિરોધ છતાં 32 જેટલી દુકાનોને ટ્રાફિક સમસ્યાને દૂર કરવા તોડી પડાઈ
મુલુંડમાં ગઈ કાલે પાલિકાએ કરેલી કાર્યવાહી.
મુલુંડ સ્ટેશન પાસે આવેલી ૩૨ દુકાનો પાલિકા દ્વારા શનિવારે રોડને મોટો કરવા અને મુલુંડને ટ્રાફિકમુકત કરવા તોડી પાડી છે. આ દુકાનોને તોડવા માટેનો દુકાનદારોના વિરોધને જોતા પાલિકાએ પોલીસ બદોબસ્તમાં દુકાનો તોડી પાડી હતી.
આ સંબંધી ટી વૉર્ડ દ્વારા આ ૩૨ દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી. પાલિકાના એક અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ દુકાનધારકો ૧૯૬૦થી ફુટપાથ પર વ્યવસાય કરતા હતા. વર્ષો સુધી ધંધો કર્યા બાદ પાલિકાએ આ લોકોને માત્ર નાના સ્ટોલ બાંધવા પરવાનગી આપી હતી. જોકે આ દુકાનદારો સ્ટોલને દુકાન રૂપ બનાવી પોતાનો વ્યવસાય કરતા હતા. મુલુંડ ટી-વૉર્ડના વૉર્ડ ઑફિસર કિશોર ગાંધી સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે આ ૩૨ દુકાનધારકોને પોતાનો વ્યવસાય કરવા માટે મુલુંડ એસીસી રોડ પર બીજી જગ્યા આપવામાં આવી છે, પણ આમાંના કેટલાક દુકાનધારકોને આ ચીજ મંજૂર નથી, પણ મુલુંડને ભીડભાડથી મુકત કરવા જરૂરી સમજી આ પગલાં લેવામાં આવ્યાં છે.