Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાઇંદરમાં સોસાયટીની મહિલા સેક્રેટરીએ કરી ૨૩ લાખની ઉચાપત

ભાઇંદરમાં સોસાયટીની મહિલા સેક્રેટરીએ કરી ૨૩ લાખની ઉચાપત

03 November, 2019 10:29 AM IST | મુંબઈ

ભાઇંદરમાં સોસાયટીની મહિલા સેક્રેટરીએ કરી ૨૩ લાખની ઉચાપત

વનિતા અને પૃથ્વીરાજ જૈન

વનિતા અને પૃથ્વીરાજ જૈન


ભાઈંદરની એક સોસાયટીની ભૂતપૂર્વ મહિલા સેક્રેટરીએ ૨૩ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ-સ્ટેશને નોંધાઈ છે. મહિલા આરોપીએ પતિ, પુત્ર અને પુત્રીનાં બૅન્ક-અકાઉન્ટમાં થોડા-થોડા કરીને ૨૩ લાખ રૂપિયા ચેક દ્વારા સોસાયટીના અકાઉન્ટમાંથી ટ્રાન્સફર કર્યા હોવાનો તેના પર આરોપ છે. ચોંકાવનારી વાત એ છે કે ફરિયાદ નોંધ્યાને ૪ મહિના થયા હોવા છતાં પોલીસે હજી સુધી આ કેસમાં આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નથી કરી.
ભાઈંદર-વેસ્ટમાં ૬૦ ફુટ રોડ પર જૈન મંદિર નજીક સાલાસર પ્લાઝા સોસાયટીના ૨૦૧૪થી રમેશ સક્સેરિયા, વનિતા પૃથ્વીરાજ જૈન સેક્રેટરી અને સાંકળચંદ શાહ ટ્રેઝરર છે. સેક્રેટરી વનિતા જૈન ૬ મહિનાથી સોસાયટીનો હિસાબ ન આપતી હોવાથી સોસાયટીના બૅન્ક-અકાઉન્ટની ચકાસણી કરતાં ૨૦૧૬ની ૩ મેથી ૨૦૧૯ની ૭ માર્ચ દરમ્યાન સોસાયટીના ખાતામાંથી ૫૦,૦૦૦થી માંડીને ૩ લાખ સુધીના ૧૭ ચેક વનિતા જૈનની પુત્રી કરિશ્મા જૈન, પતિ પૃથ્વીરાજ જૈન, પુત્ર ધર્મેશ જૈન અને એ પરિવારની માલિકીની કંપની મેસર્સ ભવાની બેન્ગલ્સના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું જણાયું હતું.
ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં સેક્રેટરી વનિતા પૃથ્વીરાજ જૈન સામે નોંધાયેલા એફઆઇઆર મુજબ સોસાયટીના કમિટી મેમ્બરોએ ૨૩ લાખ રૂપિયાનો હિસાબ માગ્યો ત્યારે વનિતા જૈનને પૂછતાં ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં સોસાયટીના ૨૩ લાખ રૂપિયા વાપર્યા હોવાનું કબૂલ કર્યું હતું. તેણે આ રકમ પાછી આપવાનું કહીને આટલી રકમના વિવિધ ચેક સોસાયટીને સોંપ્યા હતા, જે બાઉન્સ થયા હતા. ત્યાર બાદ તેણે ‘અત્યારે રૂપિયા નથી, આવશે ત્યારે આપીશું’ કહ્યું હતું.
સોસાયટીના ચૅરમૅન રમેશ સક્સેરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તપાસનો પત્ર આપ્યા બાદ વનિતા જૈને આપેલા ચેક બાઉન્સ થતાં ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં તેમની વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ ૨૦૧૯ની ૨૯ જૂને નોંધાવી હતી. આજે એફઆઇઆર નોંધ્યાને ૪ મહિનાથી વધુ થઈ ગયા હોવા છતાં આરોપીઓ સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસ તપાસ ચાલી રહી હોવાનું કહીને અમને ધક્કા ખવડાવે છે. પોલીસ શા માટે આવું વર્તન કરી રહી છે એ જ અમને સમજાતું નથી.’
ભાઈંદરના સિનિયર ઇન્સ્પેક્ટર ચંદ્રકાન્ત જાધવ અને એસડીપીઓ શશિકાન્ત ભોસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે વનિતા જૈન, પૃથ્વીરાજ જૈન, ધર્મેશ જૈન અને કરિશ્મા જૈન સામે ૨૩ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. આ મામલાની તપાસ ચાલી રહી છે. તપાસ પૂરી થયા બાદ આરોપીઓ સામે કાર્યવાહી કરીશું.’


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2019 10:29 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK