કોરોનાના કેસ વધતાં કંપનીએ આપી સૂચના: ઘરેથી જ કામ કરો
કોરોનાનો દર્દી
શહેરમાં કોરોના વાઇરસનો એક પણ કેસ હજી સુધી નોંધાયો નથી, પરંતુ દેશની આર્થિક રાજધાનીના લોકોના મનમાં આ રોગે ભય ચોક્કસ ઊપજાવ્યો છે. અનેક બહુરાષ્ટ્રીય અને આઇટી કંપનીઓએ તેમના કર્મચારીઓને આગલા આદેશ સુધી ઘરેથી કામ કરવાનું કહ્યું છે કે પછી કામના કલાકોને શિફ્ટમાં વહેંચી કાઢ્યા છે. આ ઉપરાંત સાવચેતીના પગલારૂપે સેમિનાર અને કૉન્ફરન્સ પણ રદ કરી દીધાં છે.
દિલ્હી અને બૅન્ગલોરની કેટલીક બહુરાષ્ટ્રીય કંપનીઓએ કર્મચારીઓ માટે પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દઈને ઘરેથી કામ કરવાનો વિકલ્પ સૂચવ્યો છે. જોકે મુંબઈમાં અત્યાર સુધી ઑફિસો સામાન્યપણે ચાલુ રહી હતી, પરંતુ આ અઠવાડિયે દેશમાં કોરોના વાઇરસના રોગીઓની સંખ્યામાં વધારો થતાં અનેક બહુરાષ્ટ્રીય અને આઇટી કંપનીઓએ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું સૂચન કર્યું છે. આવી કંપનીઓમાં બીજિંગમાં હેડક્વૉર્ટર ધરાવતી ટેક્નૉલૉજી કંપનીએ તેના કર્મચારીઓને સાવચેતીના પગલારૂપે ઘરેથી કામ કરવાનું સૂચન કર્યું છે. ઑઇલ, ગૅસ, પાવર અને ફૂડ તથા બેવરેજિસ જેવાં અન્ય સેક્ટરમાં કાર્યરત નૉર્વે સ્થિત કંપનીએ તેના કર્મચારીઓને બે હિસ્સામાં વહેંચી દીધા છે, એક જૂથ ઘરેથી કામ કરશે, જ્યારે બીજા જૂથના લોકો ઑફિસમાં આવીને કામ કરશે.
આ પણ વાંચો : મુંબઈ : બીએમસીની 25 સ્કૂલોમાં આવશે ઈ-લાઇબ્રેરી
ADVERTISEMENT
દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બૅન્ક એચડીએફસીએ પણ તેના કર્મચારીઓ માટે ટ્રાવેલ ગાઇડન્સ બહાર પાડ્યું છે તથા હાલમાં જ ગોવામાં યોજાનારી કૉન્ફરન્સ રદ કરી છે. જોકે તાતા કન્સલ્ટન્સીએ આવી કોઈ માર્ગદર્શિકા જાહેર કરી નથી, પરંતુ એક સ્ટેટમેન્ટ દ્વારા કહ્યું છે કે અમારા કર્મચારીઓ અને તેના પરિવારના લોકોના આરોગ્ય અને સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને અમે અનેક સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક આરોગ્ય સંસ્થાનોના સંપર્કમાં છીએ.