2014માં ટેકાની ઑફર અમારો પેંતરો હતો : પવાર
શરદ પવાર
એનસીપી પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે ૨૦૧૪માં મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે બીજેપીને બહારથી ટેકો આપવાની તેમની ઑફર શિવસેનાને તેના તત્કાલીન સાથી પક્ષ (બીજેપી)થી દૂર રાખવા માટેનો ‘રાજકીય દાવપેચ’ હતો.
પવારે કબૂલ્યું હતું કે તેમણે ‘બીજેપી અને શિવસેના વચ્ચેનું અંતર વધારવા માટે’ પગલું ભર્યું હતું.
ADVERTISEMENT
ગયા વર્ષે મુખ્ય પ્રધાનના હોદ્દા બાબતે મતભેદ સર્જાતાં લાંબા ગાળાના સાથી એવા બે ભગવા પક્ષોના જોડાણમાં ભંગાણ સર્જાયું હતું.
પવારે કહ્યું હતું કે ગયા વર્ષની વિધાનસભાની ચૂંટણીઓ બાદ બીજેપીના નેતાઓએ રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસની સરકારને ટેકો આપવા માટે તેમનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે એનસીપી બીજેપીને સમર્થન નહીં આપે અને શક્ય બને તો તે સેના સાથે સરકાર રચશે અથવા પછી વિપક્ષમાં બેસશે.
બીજેપી માની નથી શકતું કે કોઈ બીજેપી-વિહીન પક્ષો લોકશાહી વ્યવસ્થામાં કામ કરવાનો અધિકાર ધરાવે છે, તેમ ગયા વર્ષે શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસના બનેલા શાસક પક્ષ મહા વિકાસ આઘાડી (એમવીએ)ની રચનામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા પવારે સેનાના મુખપત્ર ‘સામના’ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.