ત્રીજા મોરચાનો નિર્ણય ૨૦૧૪ની ચૂંટણી પછી લેવાશે : મુલાયમ સિંહ
પાર્ટીની બે દિવસની કારોબારી બેઠક બાદ ગઈ કાલે પત્રકારો સાથે વાત કરતાં મુલાયમ સિંહે કહ્યું હતું કે અત્યારના તબક્કે અમે કોઈ ગઠબંધન નહીં બનાવીએ તથા ડાબેરી કે જમણેરી કોઈ પણ પાર્ટી સાથે હાથ નહીં મિલાવીએ.
મુલાયમ સિંહે કહ્યું હતું કે બીજેપી અને કૉન્ગ્રેસ બન્ને મોટી પાર્ટી નબળી પડી છે તથા તેમાં અંદરોઅંદર લડાઈ ચાલી રહી છે. આ સાથે મુલાયમ સિંહે લોકસભાની ચૂંટણી વહેલી યોજાય એવી પણ શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કૉન્ગ્રેસ અને બીજેપી બન્ને લોકોની અપેક્ષા સંતોષવામાં નિષ્ફળ થયા છે એટલે સમાજવાદી પાર્ટી હવે આગળ આવશે. લોકસભાની આગામી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી એકલે હાથે ચૂંટણી લડશે. અગાઉ બુધવારે કારોબારીને સંબોધતાં મુલાયમ સિંહે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટીની ભૂમિકા મહત્વની રહેશે તથા તેમની મદદ વિના કોઈ પણ પાર્ટી કે ગઠબંધન સરકાર રચી શકશે નહીં.
બીજેપી = ભારતીય જનતા પાર્ટી