SCના આદેશનાં છ વર્ષ પછીયે ગીરના સિંહ ગ્વાલિયર નથી પહોંચ્યા
ફાઈલ ફોટો
મધ્ય પ્રદેશની રાજ્ય સરકારે RTI ઍક્ટની એક અરજીના જવાબમાં જણાવ્યું હતું કે 2013ના એપ્રિલ મહિનામાં સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યા પછી ગ્વાલિયર પાસે શેવપુર જિલ્લામાં પાલપુર-કુનો વન્યજીવન અભયારણ્યના ક્ષેત્રમાં 500 સિંહોને રાખવાની અને જાળવવાની વ્યવસ્થા કરી હતી. એ વ્યવસ્થાના ભાગરૂપે ૨૪ ગામડાંના 1543 પરિવારોના પુનર્વસનની કાર્યવાહી પણ 14.84 કરોડ રૂપિયાના ખર્ચે પૂરી કરવામાં આવી છે.
સર્વોચ્ચ અદાલતે રોગચાળા અને જંગલની આગ જેવી આફતોમાં ગીરના સિંહો (એશિયાટિક લાયન્સ)ના વારંવાર મોતને કારણે એ જાતિને લુપ્ત થતી રોકવાના ઉદ્દેશથી કેટલાક સિંહોને મધ્ય પ્રદેશમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યા પછી એ રાજ્યમાં ગ્વાલિયર પાસે જગ્યા પસંદ કરીને ત્યાંનાં ગામડાં ખાલી કરાવીને વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : BJP પાસે દેખાડવા જેવા ચહેરાઓ નથી એટલે હેમા માલિનીને નચાવે છે: MP પ્રધાન
જોકે ગુજરાત સરકાર મધ્ય પ્રદેશની સરકારની વિનંતીનો વિરોધ કરતી રહી છે. છેલ્લે ગુજરાત સરકારે જણાવ્યું હતું કે ઇન્ટરનૅશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચરની રીલોકેશન ગાઇડલાઇન્સ મુજબ અભ્યાસ પૂરો થયા પછી જ સિંહોને મધ્ય પ્રદેશમાં મોકલવામાં આવશે. આ સંજોગોમાં મધ્ય પ્રદેશની સરકારે કેન્દ્ર સરકારના જંગલ અને પર્યાવરણ મંત્રાલય અને દેહરાદૂનસ્થિત વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને પત્રો લખીને આ બાબતમાં હસ્તક્ષેપ કરીને વહેલી તકે સિંહોને શિફ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવાનો અનુરોધ કર્યો છે.