ફિલિપીન્સમાં ફસાયેલા ૨૦૦થી વધુ ગુજરાતીઓ ગુજરાત લવાશેઃ નીતિન પટેલ
નીતિન પટેલ
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ફિલિપીન્સમાં ફસાયેલા ગુજરાતીઓને હેમખેમ ગુજરાત લાવવા માટે તમામ પ્રયાસો કરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતુ. ફિલિપીન્સમાં બસોથી વધુ ગુજરાતીઓ ફસાયા છે અને કોરોના વાઇરસના હાહાકારને પગલે ફિલિપીન્સ સરકારે વતન પરત જતા લોકોને ૧૯ માર્ચના રાતના ૧૨ વાગ્યા સુધી દેશ છોડી જવાની પરવાનગી આપી છે ત્યાર બાદ ફિલિપીન્સના પાટનગર મનીલાને લૉક ડાઉન કરવામાં આવશે.
કોરોના વાઇરસને કારણે વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. મહામારી વચ્ચે ફિલિપીન્સમાં ગુજરાતી અને ભારતના અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ ફસાયા છે. હાલમાં ફિલિપીન્સની રાજધાની મનિલાને લૉકડાઉન કરવામાં આવી છે, જેના કારણે ત્યાં રહીને એમબીબીએસના વિદ્યાર્થીઓ ફસાયા છે જેમાં એકલા મનિલામાં ગુજરાતી ૨૫થી ૨૬ જેટલા વિદ્યાર્થીઓ ફસાયેલા છે. ફિલિપીન્સમાં ફસાયેલા ગુજરાતીઓ વિશે નીતિન પટેલે કહ્યું કે ફિલિપીન્સથી વિદ્યાર્થીઓ પરત આવવા માગે છે. અમે સમગ્ર મામલે મુખ્ય સચિવને વિદેશ મંત્રાલય સાથે વાત કરવાનું કહ્યું છે. વિદેશપ્રધાને પણ સ્પેશ્યલ પ્લેન મોકલી તમામને પરત લાવવાની ખાતરી આપી છે.