ગુજરાતના ૧૨૬ તાલુકામાં અડધાથી છ ઇંચ વરસાદ
ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર કમલજિત રેએ કહ્યું હતું કે સાઇક્લૉનિક સક્ર્યુલેશનની અસર હજી ૪૮ કલાક રહેશે, જેને કારણે ગુજરાતમાં હળવાથી મધ્યમ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
ગઈ કાલે સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામમાં છ ઇંચ પડ્યો હતો. ઉપલેટામાં દોઢ ઇંચ, અમરેલીમાં બે, બાબરામાં ત્રણ, ધોરાજીમાં બે, જૂનાગઢમાં સવાબે, તાલાળામાં એક, કેશોદમાં ચાર, કુતિયાણામાં અઢી, પોરબંદરમાં દોઢ, જામનગરમાં એક, પાલનપુરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે મોડાસામાં અઢી, દ્વારકામાં અઢી, પડધરીમાં એક, ધ્રોલમાં એક, ભાણવડમાં બે, લાલપુરમાં એક, રાજકોટમાં પોણો, સુરેન્દ્રનગરમાં એક, ચોટીલામાં એક, ધાંગ્રધામાં બે, લિંબડીમાં બે અને વિરમગામમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
હિમાચલ પ્રદેશમાં વરસાદ ને વાદળ ફાટવાથી ૨૬નાં મોત
હિમાચલ પ્રદેશના જુદા-જુદા વિસ્તારોમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાને કારણે ૨૬ લોકોનાં મોત નીપજ્યાં હતાં. સરકારના જણાવ્યા પ્રમાણે અતિવૃષ્ટિને કારણે ૧૮૯૨ ઘરોને નુકસાન પહોંચ્યું હતું તથા ખેતીને ૩૦૦ કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું હતું. ઉત્તર ભારતમાં ઉત્તર પ્રદેશ, પંજાબ સહિતનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ નોંધાયો હતો. દિલ્હીમાં જોકે ગઈ કાલે ઓછા વરસાદને કારણે લોકોને રાહત મળી હતી.