અંબડમાં પરવાનગી વગર શિવાજી મહારાજનું પૂતળું મૂકનાર વિધાનસભ્યની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
જાલનાઃ (પી.ટી.આઇ.) જાલના જિલ્લામાં આવેલા અંબડ શહેરમાં નગરપાલિકા કે અન્ય તંત્રોની પરવાનગી વગર છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું મૂકનારા બીજેપીના વિધાનસભ્ય નારાયણ કુચે અને એમના ટેકેદારોની પોલીસે ધરપકડ કરી હતી. ગઈ કાલે નારાયણ કુચે અને એમના સાથી કાર્યકરોએ ગેરકાયદેસર રીતે શિવાજી મહારાજનું પૂતળું સ્થાપિત કર્યા પછી પોલીસે એ બધાની ધરપકડ કરીને થોડા વખત પછી છોડી મૂક્યા હતા. પૂતળું એ જગ્યા પરથી હટાવવામાં આવ્યું નથી. એ બાબતનો નિર્ણય અંબડ નગરપાલિકા અને જાલના જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ પાસેથી જાણકારી મેળવ્યા બાદ લેવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું.