આપણી રોજબરોજની ખાદ્યસામગ્રીમાં કેવી ભેળસેળ થાય છે?
અને મુંબઈ ગ્રાહક પંચાયતના કાર્યકરોએ પણ જુદા-જુદા ખાદ્યપદાર્થોની શુદ્ધતા અને એમાં થતી ભેળસેળની ચકાસણી કઈ રીતે કરવી એના વૈજ્ઞાનિક પ્રયોગો કરીને જનતાને જાગ્રત રહેવાની અપીલ કરી હતી તેમ જ માર્ગદર્શન પણ આપ્યું હતું. ૨૪ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિનને ૨૫ વર્ષ પૂરાં થયાં હોવાથી એની ઉજવણી નિમિત્તે અસંખ્ય લોકોએ આ કાર્યક્રમમાં હાજર રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. આ જાહેર કાર્યક્રમમાં દૂધ, દહીં, પાણી, ચા, વિવિધ મસાલા, કેસર, મીઠાઈ વગેરે આઇટમોની શુદ્ધતા અને એમાં થયેલી ભેળસેળની ચકાસણી માટે વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવ્યા હતા.
તોલમાપ ડિપાર્ટમેન્ટના જૉઇન્ટ કમિશનર એ. એ. ચવાણે તથા નિવૃત્ત પ્રોફેસર જ્યોત્સ્ના વરાડકરે દૂધ અને દહીંના ગ્લાસમાં ટિન્ક્ચર આયોડીનનાં થોડાં ટીપાં નાખવાનો પ્રયોગ કર્યો હતો. ટિન્ક્ચર આયોડીનનાં ટીપાંથી દૂધ અને દહીં તરત જ કાળાં પડી ગયાં હતાં. મતલબ કે દૂધ અને દહીંમાં ભેળસેળ કરવામાં આવી છે. જોકે એમાં ટિન્ક્ચર આયોડીન નાખવાથી એનો અસલી સફેદ રંગ થોડો પીળો પડે તો સમજવું કે એ શુદ્ધ છે. અમુક દુકાનદારો તો દૂધ ઘટ્ટ અને ફીણવાળું બને એ માટે એમાં મમરાનો ભૂકો અથવા મેંદાનો લોટ પણ ભેળવે છે. જોકે જાગ્રત ગ્રાહકે દૂધ અને દહીંની શુદ્ધતા માટે જરૂર આગ્રહ રાખવો જોઈએ.
ઘરના રસોડામાં વપરાતાં મરચું, હળદર, ધાણાજીરું, મરી વગેરે મસાલામાં પણ કરિયાણાના ઘણા વેપારીઓ જબરી ભેળસેળ કરતા હોય છે. ઉદાહરણરૂપે મરચાંની ભૂકીમાં ઈંટનો ભૂકો, ધાણાજીરુંમાં લાકડાનું રંગીન ભૂસું અને ઘોડાની લાદ તથા મરીમાં પપૈયાનાં બી ભેળવે છે. જોકે મરચાંની ભૂકી, ધાણાજીરું અને મરીને પાણીમાં નાખવામાં આવે અને ઈંટનો ભૂકો, લાકડાનું ભૂંસું, ઘોડાની લાદ તથા પપૈયાનાં બી ઉપર તરે તો સમજવું કે એમાં ભેળસેળ થઈ છે, પરંતુ ભૂકી મરચું અને ધાણાજીરું પાણીમાં ભળી જાય તો એ શુદ્ધ છે એમ જાણવું.
આ જ રીતે મીઠાઈ પર ભભરાવવામાં આવતા કેસરમાં મકાઈના ડોડાના ઝીણા વાળ અને કેરીના રસમાં પપૈયાનો રસ ભેળવીને અમુક વેપારીઓ ગ્રાહકોને છેતરતા હોય છે એની પણ સમજણ આપવામાં આવી હતી.