રેલવે ટાઇમટેબલમાંના ફેરફારની સામે ભારે વિરોધ થવાની શક્યતા
ફાઈલ તસવીર
ટ્રેન સર્વિસની સક્ષમતા વધારવા માટે ભારતીય રેલવેના તંત્રે સૂચવેલા સુધારા (ટ્રેન રિવિઝન્સ)નો અમલ ગઈ કાલથી શરૂ કરવામાં આવ્યો છે. ટ્રેન સર્વિસિસની સ્પીડ અને એફિશિયન્સી વધારવા તેમ જ મેઇન્ટેનન્સ માટે કૉરિડોર રચવાના ઉદ્દેશથી અમલમાં મુકાતા એ સુધારા બાબતે લોકપ્રતિનિધિઓ અને સામાજિક કાર્યકરોના તીવ્ર પ્રત્યાઘાત વિવાદ જગાવનારા છે.
પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેનાં ટાઇમ-ટેબલ તથા અન્ય બાબતોમાં અસલની સરખામણીમાં આમૂલ પરિવર્તનને કારણે વ્યાપક અસંતોષ અને વિરોધરૂપે પ્રતિક્રિયા જાગી છે. ક્યાંક અગાઉનાં સ્ટૉપને હટાવવામાં આવ્યાં છે અને ક્યાંક ટ્રેનનો વેગ વધારવામાં આવ્યો છે. જેમ કે કોયના એક્સપ્રેસ અને સિદ્ધેશ્વર એક્સપ્રેસ જેવી ટ્રેનોનાં રદ કરવામાં આવેલાં સ્ટૉપ પાછાં મેળવવા માટે કર્જતના પ્રવાસીઓ સર્વપક્ષીય વિરોધ-પ્રદર્શન યોજવાનું વિચારે છે.
ADVERTISEMENT
ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના ભૂતપૂર્વ સભ્ય નીતિન પરમારે જણાવ્યું હતું કે ‘મુંબઈ તરફની લાંબા અંતરની ટ્રેનોના ઘણા મુસાફરો કલ્યાણની ટિકિટ લે છે, પરંતુ કર્જત ઊતરે છે, કારણ કે ત્યાંથી બદલાપુર અને અંબરનાથ જવું સહેલું પડે છે.’