મીરા-ભાઈંદર-વસઈ-વિરારનું પહેલું પોલીસ- કમિશનરેટ કાર્યરત
મીરા-ભાઈંદર-વસઈ-વિરાર પોલીસ-સ્ટેશનના પહેલા કમિશનર સદાનંદ દાતે.
મીરા-ભાઈંદર-વસઈ-વિરાર પોલીસ કમિશનરેટ કાર્યાલયનું ગુરુવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હાથે ડિજિટલી ઓપનિંગ કરાયું હતું. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મીરા રોડથી વિરાર સુધીના ગુનેગારીથી બદનામ વિસ્તારને બદલવામાં નવું પોલીસ કમિશનરેટ સફળ થાય એવી શુભેચ્છા આપી હતી.
મીરા રોડના રામનગર વિસ્તારમાં આવેલા મીરા ભાઈંદર મહાનરપાલિકાના પ્રભાગ ૬ની ત્રણ માળની ઈમારતમાં ગુરુવારે મીરા ભાઈંદર વસઈ વિરાર પોલીસ કમિશનરેટની ઑફિસનું ડિજિટલ માધ્યમથી ઉદ્ઘઘાટન કરાયું હતું. આ સાથે જ હવે મીરા રોડથી વિરાર સુધીનો વિસ્તાર એક જ પોલીસ કમિશનરેટની અંદર આવી ગયો છે.
૨૬/૧૧ના આતંકવાદી હુમલામાં એક આતંકવાદીની ગોળી જેમને વાગ્યા બાદ તેમણે કરેલા ગોળીબારમાં આતંકવાદી માર્યો ગયો હતો એ સદાનંદ દાતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં જે સાહસ અને પરાક્રમની સંસ્કૃતિ ઊભી કરી હતી એને નજર સમક્ષ રાખીને અમે મીરા રોડથી વિરાર સુધીના આ પોલીસ કમિશનરેટમાં કામ કરીશું. ગુનેગારો સામે કડક હાથે કામ લેવાની સાથે સામાન્ય જનતામાં પોલીસની વિશ્વસનીયતા વધે એવો પ્રયાસ કરવામાં આવશે. કામ શરૂ કરતાં પહેલાં મેં અહીં કેટલાક દિવસ વિવિધ સ્થળે ફરીને અહીંના ક્રાઇમ, સમાજ, કાયદો વગેરેની પરિસ્થિતિની માહિતી મેળવી છે. આથી હવે જે ગંભીર બાબતો છે એને પ્રાથમિકતા આપીને આગળના કામ કરવામાં આવશે.’