જે પોલીસ ન કરી શકી એ મિડ-ડેએ કરી બતાવ્યું
નાલાસોપારામાં રહેતા ૭૦ વર્ષના સિનિયર સિટિઝન કેશવલાલ જગજીવનદાસ ઠક્કર ગયા રવિવારે ગુમ થઈ ગયા હતા અને પોલીસમાં ફરિયાદ કર્યા છતાં નહોતા મળ્યાં, પણ ગઈ કાલે ‘મિડ-ડે’માં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ તેઓ વિરારમાંથી મળી આવ્યા હતા. ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યે ‘મિડ-ડે’માં અહેવાલ વાંચીને રમેશ દેઢિયા નામના એક ભાઈએ પરિવારજનોને કેશવલાલ વિશે માહિતી આપી હતી.
ADVERTISEMENT
આ વિશે કેશવલાલ ઠક્કરના દીકરા મહેશ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારથી પિતા ગુમ થયા ત્યારથી અમે સતત તેમને શોધી રહ્યા હતા. ગામથી માંડી આખા મુંબઈમાં રહેતાં બધાં જ સગાંસંબંધીઓને પૂછપરછ કરી હતી, પણ કોઈ માહિતી નહોતી મળી. અંતે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. જોકે ગઈ કાલે ‘મિડ-ડે’માં અહેવાલ આવ્યા બાદ વિરારમાં રહેતા રમેશભાઈએ અમને ફોન કરીને મારા પિતા અહીં એક મંદિર પાસે બેઠા હોવાની જાણ કરી હતી. રમેશભાઈએ અહેવાલની દરેક માહિતી વાંચી હોવાથી તેમણે પહેલાં અમને ફોન કરીને બધું પૂછી લીધું હતું અને પછી જ તેઓ મારા પિતા હોવાનું નક્કી થયું ત્યારે તેમણે અમને એ વિશે જણાવ્યું હતું. મારા પિતા વિરાર (ઈસ્ટ)માં રેલવે-બ્રિજ પાસે આવેલા સાંઈબાબાના મંદિરે બેઠા હતા. સવારે નવ વાગ્યે રમેશભાઈએ તેમને ત્યાં એકલા બેઠેલા જોયા હતા. અમને ફોન કરતાં અમે તરત ત્યાં પહોંચી ગયા હતા. તેમની તબિયત સારી ન હોવાથી અમે તેમને વધુ કાંઈ પૂછી નહોતા શક્યા અને તેમને કાંઈ યાદ પણ નથી. તેમની યાદશક્તિ ઓછી થઈ ગઈ હોવાથી તેમના પર્સમાં અથવા તો બીજી કોઈ રીતે ઘરનું સરનામું અને મોબાઇલ નંબર રાખવો પડે એમ છે.’
‘મિડ-ડે’ને ખાસ ધન્યવાદ
મહેશ ઠક્કરે કહ્યું હતું કે ‘અમે પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી છતાં તેમના તરફથી કાંઈ થયું નહોતું. એટલે જ અમારે કહેવું પડે છે કે જે પોલીસે ન કર્યું એ એક અખબારે કરી બતાવ્યું. ‘મિડ-ડે’ને અમારા બધા તરફથી ખાસ ધન્યવાદ કે તેમને લીધે જ આજે અમારા પિતા અમને મળી શક્યા.’