મેટ્રો આપશે સાઇકલ ભાડે
એક કલાકના આટલા રૂપિયા મુસાફરો પાસેથી લેવામાં આવશે
હવે મેટ્રોની મુસાફરી કરનારા ઉતારુઓ પોતાના અંતિમ સ્થળ જઈ શકે એ માટે મેટ્રોએ નવી પહેલ કરી છે. શહેરના ટ્રાફિકથી પરેશાન મુંબઈવાસીઓ માટે મેટ્રો ટ્રેન આશીર્વાદ સમાન બની ગઈ છે ત્યારે મેટ્રોના ઉતારુઓ તેમના અંતિમ સ્થળ સુધી જઈ શકે એ માટે મેટ્રો પ્રશાસને ઉતારુઓ માટે મેટ્રો સ્ટેશનથી બાઇસિકલ ઉપલબ્ધ કરવાનું નક્કી કર્યું છે. ૨૪ ફેબ્રુઆરીથી બાઇસિકલની શરૂઆત કરવામાં આવશે.
હાલમાં શરૂઆત જાગૃતિનગર સ્ટેશનથી કરવામાં આવી છે. ૫૦ બાઇસિકલ મેટ્રો સ્ટેશનની નીચે ઊભી રાખવામાં આવશે. જોકે ઉતારુઓએ બાઇસિકલ માટે mybyk ઍપ ડાઉનલોડ કરવી પડશે. આ ઍપ જીપીઆરએસ સિસ્ટમથી કનેક્ટ હશે. એટલે એક વાર જો તમે ઍપ પર જઈને સાઇકલ બુક કરાવો કે તમારી સાઇકલનું લૉક ખૂલી જાય અને તમે એને આસાનીથી જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જઈ શકો.
એમએમઓપીએલના એક અધિકારીએ આ વિશે માહિતી આપતાં મિડ-ડેને જણાવ્યું હતું કે પ્રાયોગિક ધોરણે બાઇસિકલ સર્વિસ જાગૃતિનગર સ્ટેશનથી 24 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી છે. ઇકો-ફ્રેન્ડ્લી પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન નવી મુંબઈમાં ઘણી જગ્યાએ ચાલી રહ્યું છે. એ પાર્શ્વભૂમિ પર અમે આ સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસથી ઉતારુઓને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે અને તેમની તંદુરસ્તી પણ જળવાશે.
એમએમઓપીએલના પ્રવક્તા શ્યામક ચૌધરીએ મિડ-ડેને કહ્યું હતું કે ‘મેટ્રો સાથે પ્રવાસીઓનો સર્વોપરી અનુભવ સારો રહે એ જ અમારા માટે મહત્ત્વનું છે.’
જોકે આ સાઇકલ ચોરાઇ જાય તો એના વીમા સહિતની કોઇ વ્યવસ્થા હાલ કરવામાં નથી આવી અને ચૌધરીનું માનવું છે કે, સાઇકલો બલ્કમાં હોવાથી આવી કોઇ સમસ્યા નહીં થાય.
જાગૃતિનગર સ્ટેશનથી મેટ્રો પ્રશાસન દ્વારા આ સાઇકલ સર્વિસ શરૂ કરવામાં આવી છે. ત્રણ મહિના માટે પ્રાથમિક ધોરણે આ સેવા પૂરી પાડવામાં આવી છે. પ્રવાસીઓનો કેટલો પ્રતિસાદ સાંપડી રહ્યો છે એના આધાર પર અમે અન્ય સ્ટેશનો પર આ સર્વિસ પૂરી પાડીશું એવું એક અધિકારીએ જણાવ્યું હતું.