અધર્મના નાશ માટે તે આવે કે નહીં, તેણે તમને જે શીખવ્યું છે એ ભૂલતા નહીં
કૃષ્ણ આજે આવશે કે નહીં? એણે જ કહ્યું હતું, અધર્મ વધશે, પાપાચાર વધશે ત્યારે હું આવીશ, આવીશ અને પાપનો નાશ કરીશ પણ આ અધર્મ વધશે ક્યારેય, પાપાચાર હજુ કેટલો વધશે કે એની માટે ખુદ કૃષ્ણએ આવવું પડે અને એ પછી સૃષ્ટિ પર સુખનો સૂર્ય ઊગે? આવશે કૃષ્ણ આજે કે પછી હજૂ એને વાર લાગશે? વાર લાગે એ કેમ ચાલે, એણે તો કહ્યું છે, જ્યારે અધર્મ વધશે, પાપાચાર વધશે ત્યારે એ આવશે તો પછી હવે આવવાને વાર શાની છે? પાપાચારની કઈ ચરમસિમા એમણે જોવી છે અને અધર્મની કઈ લક્ષ્મણ રેખા ઓળંગવાની એ રાહ જૂએ છે? અધર્મ હવે માઝા મૂકી બેઠું છે અને પાપોએ પૂણ્ય પર વિજય મેળવી લીધો છે તો પછી હવે, હવે એને આવવામાં રાહ શાની છે?
દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી આવી જ રીતે, રંગેચંગે થાય છે અને એ પછી પણ કૃષ્ણ હજુ સુધી આવ્યા નથી અને પ્રેક્ટિકાલિટી સાથે કહેવાનું આવે તો એ કદાચ હજૂ આવશે પણ નહીં. આ આપણી પરિક્ષા છે. નક્કી તમારે કરવાનું છે કે તમારે તમારી અંદરનો કૃષ્ણ જગાડવાનું કામ કરવું કે પછી હાથ પર હાથ મૂકીને, પગની આંટી ચડાવીને હજુ પણ એ આવે એની રાહ જોતાં પાપાચાર અને અધર્મને જીવતાં રહેવા દેવા છે? અધર્મના નાશ માટે એ આવે કે ન આવે, પાપોના અંત માટે એ પ્રગટે કે ન પ્રગટે પણ એટલું યાદ રાખજો, એણે આ બધાના સર્વનાશ માટે તમને જે કંઈ શીખવ્યું છે એનો અનાદર ન થવો જોઈએ, એ કોરાણે ન મૂકાવું જોઈએ અને એ ભૂલાવું પણ ન જોઈએ. ઈશ્વર આવે ત્યારે જ્યારે, એ તમને હારતાં જૂએ પણ હથિયાર હેઠાં મૂકીને બેસી ગયેલાંઓ માટે એ ક્યારેય ન આવે. ઈશ્વર આવે ત્યારે જ્યારે, એ તમને ચક્રવ્યૂહમાં અટવાયેલા જૂએ પણ ચક્રવ્યૂહને જોઈને દૂરથી મૂઠીવાળીને ભાગનારાઓ માટે એની પાસે સમય નથી. સરહદ પર સેનાના હાથમાં બંદૂક એટલે જ આપી છે. પહેલો વાર તમે કરો, પાછળ હું બેઠો છું. યાદ રાખજો, આ શબ્દનેઃ પાછળ.
ADVERTISEMENT
ઈશ્વર ક્યારેય તમારી આગળ ન હોય, એ તમારુ પીઠબળ છે અને પીઠબળ બનીને જ રહે. ઈશ્વરને પીઠબળ બનાવીને જીવનારાઓ ક્યારેય દૂખી નથી થતાં. ઈશ્વરને સાથે રાખનારા પણ ક્યારેય હેરાન નથી થતાં. હેરાન એ થાય છે જે ઈશ્વરને આગળ મૂકીને એની પીઠ પાછળ સંતાવાનું કામ કરે છે. સંતાવાનું નથી. સંતાવાનું કામ તો માયકાંગલા કરે અને તમે માયકાંગલા નથી જ નથી. યાદ રાખજો, ઈશ્વર તમારામાં વાસ કરે છે અને ઈશ્વર જેમાં વાસ કરે એ માયકાંગલો હોય પણ નહીં. ઈશ્વર એ જ સ્થાને રહે જે સ્થાન સર્વશક્તિશાળીનું હોય. ઈશ્વર ત્યાં જ વસે જ્યાં પવિત્રતા હોય, અધર્મની સામે લડવાનું ઝનૂન હોય અને પાપ સામે અથડાયને એ પાપને તોડવાની ક્ષમતા ધરાવતું હોય.
આ પણ વાંચો : ઐસે જિયો જૈસે પહલા દિન હૈ યે
નક્કી તમે કરો. ઈશ્વર તમારામાં વાસ કરે છે કે નહીં? જો જવાબ હકારમાં હોય તો સહેજ પણ નાસીપાસ થવાની જરૂર નથી. જન્મ લેવાનું ટાળતો કાનો પણ તમને કહેશે, તું જ તારો ઈશ્વર. લડી લે જંગ, જીતી લે ધર્મને, હરાવી દે અધર્મને. છું જ તારી અંદર, હવે બની જા તું જ, તારો ઈશ્વર.