અહીં આખો દિવસ ચા મળશે મફત, પણ જો રાહુલ ગાંધી PM બને તો
MBA ચાયવાલા
23 મેના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થશે. કોણ જીતશે તેને લઈને ઠેર ઠેર ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં એક ચાવાળાએ આશ્ચર્યજનક સ્કીમ શરૂ કરી છે. જો રાહુલ ગાંધી વડાપ્રધાન બને તો અમદાવાદમાં આ ચાની દુકાન પર આખો દિવસ ચા ફ્રીમાં મળશે.
અમદાવાદના ફેમસ એમબીએ ચાયવાલાએ આ સ્કીમની જાહેરાત કરે છે. એમબીએ ચાયવાલા પ્રફુલ બિલ્લોરેએ ગુજરાતી મિડડે ડોટ કોમ સાથેની વાતચીતમાં કહ્યું,'ચૂંટણીના રિઝલ્ટને લઈ અમે આ સ્કીમ શરૂ કરી છે. એના માટે કોઈ દિવસ ફિક્સ નથી રાખ્યો. પરિણામ જાહેર થયા બાદ જ્યારે પણ રાહુલ ગાંધી જો વડાપ્રધાન બને તો અમારે ત્યાં આખો દિવસ ચા ફ્રી મળશે.' જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ પદ સુધી પહોંચશે તો એમબીએ ચાયવાલાની દુકાન પર આખો દિવસ ચા ફ્રીમાં મળશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે એમબીએ ચાયવાલાની દુકાન અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી છે. પ્રફુલ બિલ્લોરે નામના યુવાન આ ચાની દુકાન ચલાવે છે. એમબીએ ચાયવાલા નામ પડવા પાછળની તેમની સ્ટોરી પણ રસપ્રદ છે. પ્રફુલ બિલ્લોરે અમદાવાદ યુનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કરતા હતા. પરંતુ તેમને ભણવાની મજા ન આવતા ડ્રોપ લીધો. અને પ્રફુલ બિલ્લોરેએ નોકરીનો વિકલ્પ અપનાવવાના બદલે ચાની દુકાન શરૂ કરવાનું નક્કી કર્યું.
આ પણ વાંચોઃ પત્નીએ જ પતિ અને પ્રેમિકાનાં લગ્ન કરાવ્યાં અને સાથે મંડપમાં પણ બેઠી
પ્રફુલ બિલ્લોરે એ કહ્યું કે તેમણે તો મિસ્ટર બિલ્લોરે ચાયવાલા નામ રાખ્યું હતું. જેમાં પાછળથી અમદાવાદ જોડ્યું. તો મિસ્ટરનો એમ, બિલ્લોરેનો બી અને અમદાવાદનો એ જોડીને તેમનું નામ એમબીએ ચાયવાલા લોકોએ જ પાડી દીધું. વળી લોકોને જ્યારે ખબર પડી કે પ્રફુલ બિલ્લોરે એમબીએ કરતા હતા, ત્યારથી તો તેમની દુકાન આ જ નામથી પ્રખ્યાત બની છે. એમબીએ ચાયવાલા છેલ્લા 2 વર્ષથી વસ્ત્રાપુરમાં દુકાન ચલાવે છે, અને અવનવી સ્કીમોથી ગ્રાહકોને આકર્ષે છે.