મટકા-કિંગ રતન ખત્રી અને મટકાનો ધર્માત્મા
ધર્માત્મા
ઍક્ટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર ફિરોઝ ખાનના ભત્રીજા (સંજય ખાનના દીકરા) ઝાયેદ ખાને ૨૦૧૩માં ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેને કાકાની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધર્માત્મા’ની રીમેક બનાવવી છે. એ ફિલ્મ જીતનો ઘોડો છે એમ જણાવતાં ઝાયેદ ખાને કહ્યું કે ‘બહુ મોટી હિટ હતી. લોકોને બહુ ગમી હતી. જો બધું સમુંસૂતરું પાર પડે તો મારે એ ફરીથી બનાવવી છે.’
ઝાયેદ ખાન પર હજીય જો એ ફિલ્મ બનાવવાનો સોલો ચડેલો હોય તો તેણે ‘ધર્માત્મા’માંથી હૉલીવુડની ‘ધ ગૉડફાધર’ ફિલ્મનું ભૂત ઉતારી દેવું જોઈએ અને ‘મટકા-કિંગ’ રતન ખત્રીના પાત્રને લંબાવીને ૭૦ના દાયકાના મટકા-વ્યવસાય પર ફિલ્મ બનાવવી જોઈએ.
‘ધર્માત્મા’ (૧૯૭૫)માં પ્રેમનાથે ધરમદાસ ધર્માત્માનો કિરદાર નિભાવ્યો હતો અને એની પ્રેરણા રતન ખત્રી પરથી લેવામાં આવી હતી. ગયા રવિવારે સેન્ટ્રલ મુંબઈની નવજીવન સોસાયટીમાં ૮૮ વર્ષના રતન ખત્રીનું અવસાન થયું ત્યારે લોકોએ ૭૦ના દાયકાના ભારતમાં આંકડાના ધીકતા ધંધાને તો યાદ કર્યો જ અને સાથે ફિરોઝ ખાનની ‘ધર્માત્મા’ ફિલ્મને પણ યાદ કરી. ‘ધર્માત્મા’ આમ તો ‘ધ ગૉડફાધર’ની પહેલી હિન્દી (અને ખાસ્સી સફળ) રીમેક હતી અને એમાં રતન ખત્રીના મટકા-જુગારના વ્યવસાયનો અછડતો સંદર્ભ હતો. ‘ધર્માત્મા’ની રીમેક જો બનાવવી હોય તો શા માટે એને રતન ખત્રી અથવા તો ભારતના મટકા-વ્યવસાય પર બનાવવી જોઈએ એની થોડીક વાતો કરીએ અને પછી ‘ધર્માત્મા’ની વાત.
‘મટકા-કિંગ’ના નામથી જાણીતા રતન ખત્રીનું અવસાન એક એવા યુગની યાદ અપાવે છે જ્યારે અધિકૃત રોજગારીઓના અભાવમાં અને ઉદારવાદ પહેલાંની રાજ્યાશ્રિત અર્થવ્યવસ્થામાં ભારતના લાખો લોકો ‘મટકા’ અથવા ‘આંકડા’ના જુગાર મારફત પૈસા કમાતા હતા. રેસકોર્સ પર ઘોડાના નામે કે ક્રિકેટના નામે સટ્ટો સંપન્ન લોકોનો સંપન્ન શોખ ગણાતો હતો અને ત્યારે રતન ખત્રીએ સાવ ભિખારી હોય એવા સધારણ માણસને પણ રૂપિયા-બે રૂપિયાના ડબલ કે અઢી ગણા રૂપિયા કમાવાની સુવિધા કરી આપી હતી.
આજે તો ટેક્નૉલૉજીના માધ્યમથી ઑનલાઇન સટ્ટો રમાય છે, પરંતુ ૬૦ના દાયકામાં મુંબઈમાં મટકામાંથી કાગળ પર લખેલો આંકડો કાઢવામાં આવતો અને જેણે એ સંખ્યા પર પૈસા લગાડ્યા હોય તેને વિજેતા જાહેર કરવામાં આવતો. ‘આંકડો’ ગુજરાતી શબ્દ છે, પણ રતન ખત્રીએ પૂરા દેશના લોકોને એ શબ્દ મોઢે કરાવી દીધો હતો. આજની લૉટરીનું જ એ દેશી સ્વરૂપ હતું અને એ સામ્રાજ્યમાં બે મોટાં નામ હતાં : કલ્યાણજી ભગત અને રતન ખત્રી. કલ્યાણજીએ પાયા નાખ્યા અને ખત્રીએ ઇમારત ચણી.
કલ્યાણજી ભગત કચ્છમાં જન્મેલા અને ૧૯૪૧માં મુંબઈ આવેલા. શરૂઆતમાં તેઓ વરલીમાં મસાલા વેચતા હતા અને એમાંથી ન્યુ યૉર્ક કૉટન એક્સચેન્જમાં કપાસના ખૂલતા-બંધ ભાવ પર સટ્ટો રમાડવાનું શરૂ કરેલું. એમાં એ ભાવ ટેલિપ્રિન્ટર મારફત મુંબઈ સ્ટૉક એક્સચેન્જ પર આવે અને કલ્યાણ ભગત કયો ભાવ ખૂલશે અને કયો બંધ થશે એના પર સટ્ટો રમાડતા. રતન ખત્રી મૂળ કરાચીના સિંધી હતા અને વિભાજનમાં ૧૯૪૭માં મુંબઈ આવેલા. મોટા થઈને તેઓ કલ્યાણ ભગતના સંપર્કમાં આવ્યા અને ભગતના મૅનેજર બનેલા અને ત્યાંથી ‘વરલી મટકા’ની શરૂઆત થયેલી. એમાં મટકામાંથી નંબર લખેલી ચિઠ્ઠી કાઢવામાં આવતી. ૧૯૬૪માં ખત્રી અલગ પડ્યા અને મુમ્બાદેવીમાં સ્વતંત્ર ‘રતન મટકા’ની શરૂઆત કરી.
એક સમયે ખત્રીનું રોજનું ટર્નઓવર એક કરોડ રૂપિયા હતું. કટોકટી દરમ્યાન ખત્રીને જેલમાં પૂરવામાં આવેલા અને ત્યારે ઇન્દિરા ગાંધીના ‘ગરીબી હટાવો’ નારાથી નાસીપાસ થઈ ગયેલા લોકો બોલતા હતા, ‘ઇન્દિરા ગાંધી કો હટાઓ, રતન ખત્રી કો પ્રાઇમ મિનિસ્ટર બનાઓ.’
રતન ખત્રી મટકામાં આંકડો લખેલી ચિઠ્ઠીને બદલે પત્તા-પાનાં લઈ આવેલા. મટકામાં પાનાં મૂકેલાં હોય અને કોઈ ત્રાહિત વ્યક્તિ એમાંથી ત્રણ પાનાં ખેંચે. ખત્રી રાત્રે ૯ વાગે અને ૧૨ વાગે એમ બે વાર આંકડા ખોલતો. મટકામાંથી બહાર કઢાયેલા ત્રણ પત્તાંની સંખ્યાનો સરવાળો કરીને જે નંબર આવે તે વિજેતા આંકડો કહેવાતો. એ આંકડો આખા દેશમાં અને પરદેશમાં ‘રતન મટકા’ના અડ્ડા પર ‘ફ્લૅશ’ થતો.
તમને જો યાદ હોય તો ‘ધર્માત્મા’માં ધરમદાસ આવી રીતે પાનાં ખેંચાવે છે અને પછી એની ‘ઑફિસ’ની બારીના મોટા કાચ પર એ નંબર ચમકે છે. ખત્રી એકદમ ઘડિયાળના કાંટે પાનાં ખેંચાવતો. એમાં જે પત્તાંની જોડ વપરાતી એ એક જ વાર ઉપયોગમાં લઈને ફેંકી દેવાતી જેથી કોઈને ગોલમાલની શંકા ન જાય.
કહેવાય છે કે એક વાર ખત્રી હૈદરાબાદ ગયેલો અને ત્યાં પન્ટર ભેગા થઈ ગયા અને એ દિવસના આંકડાનું અનુમાન કરવાનું કહ્યું. ખત્રીએ જવાબમાં કહેલું, ‘મૈં ક્યા કહું? તીન બજે આયા હૂં ઔર પાંચ બજે ચલા જાઉંગા.’ એ રાતે પન્ટરો ત્રણ અને પાંચ નંબરના આંકડા પર સટ્ટો ખેલ્યા હતા અને ખરેખર પરિણામ ૩ અને ૫ જ આવ્યું હતું. એ જમાનામાં અખબારો (ખાસ કરીને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં) પહેલા પાને પૉલિટિકલ કાર્ટૂન આવતાં અને સટોડિયાઓ એ કાર્ટૂનમાં વાંકી-ચૂકી લાઇનમાંથી આંકડા શોધીને એના પર પૈસા લગાવતા.
ખત્રીના આ ગેરકાયદે ધંધાની સફળતાનું કારણ તેની ઈમાનદારી અને અંગત સાખ હતી. ધંધો ગંદો હતો, પણ ગામડાંઓ સુધી ખત્રીના ધંધાની ચોખ્ખાઈ વિશે લોકોને ખાતરી હતી. મુંબઈના ફિલ્મ-ઉદ્યોગમાં પણ તેનું નામ હતું અને અડધી રાતે ફિલ્મનિર્માતાઓ, સ્ટાર, બિઝનેસમેન અને રાજકારણીઓ તેની પાસે ‘લોન’ લેવા આવતા. દેશના લાખો ગરીબ, બેરોજગાર લોકોને રૂપિયા-પૈસામાં રમાડીને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતો રતન ખાત્રી મુંબઈના રેસકોર્સમાં ઘોડા પર ૧૦૦ રૂપિયા લગાડીને નસીબ અજમાવવાનો આનંદ લેતો હતો.
મને ખબર છે કે મટકો ગેરકાનૂની હતો એવું ખત્રીએ એક ઇન્ટરવ્યુમાં કહેતાં જણાવ્યું હતું કે પણ હું સંપૂર્ણ ઈમાનદારીથી એ ચલાવતો હતો અને લોકોને મારામાં બહુ વિશ્વાસ હતો. રતન ખત્રી અને ‘ધી ગૉડફાધર’માં આ એક જ સામ્ય હતું; બન્નેને તેમના ગંદા ધંધાના અમુક આદર્શો હતા અને એટલે જ ફિરોઝ ખાનને ખત્રીમાં ‘ગૉડફાધર’ દેખાયો હતો.
હવે ‘ધર્માત્મા’ની વાત.
ફિરોઝ ખાને મારિયો પુઝોની ક્રાઇમ-નવલકથા પરથી બનેલી ફ્રાન્સિસ ફોર્ડ કપોલા અને માર્લન બ્રૅન્ડોની સુપરહિટ ‘ધી ગૉડફાધર’ (૧૯૭૨)ની નકલ કરીને ‘ધર્માત્મા’ બનાવી હતી, પણ એમાં થોડા ફેરફાર કર્યા હતા. ‘ધી ગૉડફાધર’ની કહાની અમેરિકન માફિયા-વર્લ્ડની આંતરિક દુશ્મની પર આધારિત હતી. અમેરિકન માફિયા ત્યારે એક આંતરરાષ્ટ્રીય ક્રાઇમ સિન્ડિકેટ હતું અને એનો હથિયાર અને ડ્રગ્સનો કારોબાર અનેક દેશોમાં પથરાયેલો હતો. ભારતમાં ત્યારે માફિયા હજી ચોરીચપાટી અને દાણચોરીમાં વ્યસ્ત હતું એટલે ફિરોઝ ખાને ‘ધર્માત્મા’ને ભારતીય સમાજના વાઘા ચડાવવા માટે ધરમદાસ ધર્માત્માને મટકા-કિંગ તરીકે પેશ કરેલો. ‘ધી ગૉડફાધર’માં ન્યુ યૉર્ક અને સિસિલી હતું, તો ‘ધર્માત્મા’માં મુંબઈ અને અફઘાનિસ્તાન હતું (અફઘાનિસ્તાનમાં શૂટ થયેલી આ પહેલી હિન્દી ફિલ્મ).
ફિરોઝ ખાન એમાં ‘ધી ગૉડફાધર’ના પારિવારિક સંઘર્ષના પ્લૉટને વળગી રહેલો એટલે એમાં ધરમદાસ ધર્માત્મા ભારતનો વગદાર
મટકા-કિંગ છે એ વિષય થોડો હાંસિયામાં રહી ગયેલો. ‘ધી ગૉડફાધર’માં ડૉન વિટો કોર્લિઓન (માર્લન બ્રૅન્ડો)નું પાત્ર કેન્દ્રમાં હતું. એમાં તે કેવી રીતે પારિવારિક અને વ્યાવસાયિક મૂલ્યોને જાળવી રાખીને તેના દીકરા માઇકલ કોર્લિઓન (અલ પચીનો)ને ઘર-ધંધાની કમાન સોંપે છે એની કહાની હતી. હૉલીવુડમાં તેના ત્રણ ભાગ બન્યા હતા. ‘ધી ગૉડફાધર’ દુનિયાભરમાં એક કલ્ટ-ક્લાસિક ફિલ્મ તરીકે પ્રસિદ્ધ છે. ૨૦૦૫માં રામ ગોપાલ વર્માએ અમિતાભ બચ્ચનને લઈને ‘સરકાર’ ફિલ્મ બનાવી હતી અને ૨૦૦૮ તેમ જ ૨૦૧૭માં એના બીજા બે ભાગ બનાવ્યા હતા.
ફિરોઝ ખાને ‘ધર્માત્મા’માં ફોકસ પોતાના પર રાખ્યું હતું, કારણ કે હિન્દી ફિલ્મોમાં હીરો હંમેશાં યુવાન જ હોવો જોઈએ, જયારે મૂળ ‘ધી ગૉડફાધર’માં નાયક વિટો કોર્લિઓન ઉંમરલાયક ડૉન છે. ‘ધર્માત્મા’માં પિતા દુષ્ટ છે અને સમાજવિરોધી છે અને પુત્ર રાષ્ટ્રપ્રેમી છે. ઇન્દિરા ગાંધીની કટોકટી પછી તરત જ ‘ધર્માત્મા’ આવેલી એટલે ફિરોઝ ખાને એમાં થોડો રાષ્ટ્રભક્તિનો રંગ ચડાવેલો. ‘ધી ગૉડફાધર’માં કોર્લિઓન સારો ડૉન છે, જે શહેરના બીજા ખરાબ ડૉન સામે શિંગડાં ભરાવે છે એવી વાર્તા હતી. ‘ધર્માત્મા’માં પિતાની ખલનાયકી સામે દીકરો જંગે ચડે છે તેવી કહાની કહેવામાં આવી હતી. ‘ધી ગૉડફાધર’માં બીજા બે ભાઈઓ પણ હતા, પરંતુ ‘ધર્માત્મા’માં પોતાના પર ફોકસ રાખવા માટે ફિરોઝ ખાને એ બે પાત્રોને ઉડાડી દીધાં હતાં.
‘ધર્માત્મા’ એકમાત્ર ફિલ્મ છે જેમાં પ્રેમનાથે બહુ સંયમિત અભિનય આપ્યો હતો. જોકે એનું શ્રેય ફિરોઝ ખાનને જાય છે. ફિરોઝ ખાને મનોજકુમારના ક્રાઇમ-ડ્રામા ‘બેઈમાન’ (૧૯૭૨)માં પ્રેમનાથની ડીઆઇજી ગોપાલ દાસની ભૂમિકા જોઈ હતી. એમાં પ્રેમનાથે તેમની આદત પ્રમાણે ચીસો પાડીને ઓવરઍક્ટિંગ કરી હતી. ફિરોઝને પ્રેમનાથને લેવાનો પસ્તાવો પણ થયેલો (તેને શમ્મી કપૂરને લેવો હતો, પણ શમ્મી પિતાના રોલની ઑફર જોઈને ભડકી ગયેલા અને એક પાર્ટીમાં દારૂ પીને બન્ને જણ મારામારી પર આવી ગયા હતા), પછી તેમણે પ્રેમનાથને સમજાવ્યા કે આ એક એવા ડૉનનું પાત્ર છે જે તેના પાવરથી એટલો બધો સજાગ છે કે સાવ ઠંડા કલેજે બોલે છે. પ્રેમનાથે એ વાત બરાબર આત્મસાત્ કરી હતી.
એટલે ‘ધર્માત્મા’ જો નવેસરથી બને અને એમાં ફિરોઝ ખાનના રણબીરના પાત્ર પર થોડું પાણી છાંટવામાં આવે અને ધરમદાસના પાત્રને વળ ચડાવવામાં આવે તો ૬૦-૭૦-૮૦ના દાયકામાં મટકામાંથી માલદાર થવાનું સપનું જોતા ગરીબ ભારત પર એક અફલાતૂન ફિલ્મ બની શકે.
ખત્રીને ખબર હતી કે ‘ધર્માત્મા’માં પ્રેમનાથનું પાત્ર તેના પરથી રાખવામાં આવ્યું છે. તેણે કહ્યું હતું કે રાજકમલ સ્ટુડિયોમાં મેં ફિરોઝ ખાન સાથે ઘણો વખત વિતાવ્યો હતો. ફિરોઝ ખાને મટકાનો ધંધો કેવી રીતે ચાલે છે એ સમજવા માટે રતન ખત્રી સાથે ઘણી મુલાકાતો કરી હતી. એક વર્ષ પછી રતન ખત્રીએ પોતે જ રિશી કપૂર અને પરવીન બાબીને લઈને એક (ફ્લૉપ) ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી, નામ હતું ‘રંગીલા રતન.’