વસ્તીનિયંત્રણની વાત લાલ કિલ્લાથી, હમારા દેશ બદલ રહા હૈ
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પંદરમી ઑગસ્ટે લાલ કિલ્લા પરથી થયેલા ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાના કુટુંબની વાત કરીને આડકતરી રીતે વસ્તીવધારાનો પ્રશ્ન હાથમાં લીધો છે. બહુ જરૂરી હતો આ પ્રશ્ન. પરિસ્થિતિ એવી છે કે દેશની વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે અને વધી રહેલી એ વસ્તીને કારણે અકારણ અછતનો ભાર સહન કરવાનો વારો આવે છે. કુટુંબ નાનું જ હોવું જોઈએ. શું કામ અને કેવી રીતે એ કોઈને સમજાવવાની જરૂર નથી, પણ હા, એ કહેવાની આવશ્યકતા ચોક્કસ છે કે વસ્તી કોની વધે છે એ મહત્ત્વનું હોય છે. જો ડૉક્ટર, એન્જિનિયર કે સાયન્ટિસ્ટને એક કરતાં વધારે સંતાન હશે તો મેડિકલ સાયન્સ મુજબ, સારાં ડીએનએની જગતમાં સંખ્યા વધશે અને એની આવશ્યકતા આ દેશને પણ છે અને દુનિયાને પણ છે, પણ જો શાકવાળા કે લારી ચલાવનારાઓના બાળકોની સંખ્યા વધશે તો સમજી શકાય છે કે એ વસ્તી દેશ ઉપર ભાર સમાન બનશે. અહીં એક નાનકડી સ્પષ્ટતા કરવાની કે શાકવાળા કે લારી ચલાવનારા સાથે કોઈ અંગત રાગદ્વેષ નથી. વાત અહીં જીવનનિર્વાહની ચાલી રહી છે. ખબર છે કે આજે પણ લારી ચલાવનારા કે ગેરેજ ચલાવતાં મિકેનિકનાં બાળકો અવ્વલ દરજ્જાના માર્કસ સાથે બોર્ડની એક્ઝામમાં પાસ થાય છે અને સીએ કે ડૉક્ટર બને છે.
ADVERTISEMENT
કહેવાનો તાત્પર્ય એ છે કે જગતમાં કોનાં બાળકો વધે છે એ મહત્ત્વનું છે. ન્યુ ઝીલૅન્ડમાં ગુનાઓ નથી થતાં. એની પાછળ ક્યાંય એ દેશના કાયદાઓ જવાબદાર નથી, એ દેશના લોકોના સંસ્કાર અને એ દેશના લોકોની નિષ્ઠા-પ્રામાણિકતા છે. એક વાત યાદ રાખજો, કાયદો ગુનાઓ અટકાવવાનું કામ ન કરી શકે, કાયદાથી ડર જન્મે પણ સંસ્કારથી ગુનાઓ થતાં રોકાય. આજે જુઓ તમે, સારાં ઘરના કોઈ ક્યારેય કોઈ ખોટું કામ કરતાં નથી. ગુજરાતીઓને જ જોઈ લો. ગુજરાતીઓમાં તમને કોઈ જાતની આછકલાઈ નહીં જોવા મળે, ક્યારેય નહીં. ગુજરાતીઓ જ નહીં, તમને બંગાળીઓમાં પણ કોઈ આછક્લાઈ જોવા નહીં મળે. કહેવાનો ભાવાર્થ એ કે નાનું કુટુંબ હોવું જોઈએ અને આ વાતને નિયમ બનાવી, કાયદાનું રૂપ આપી વધારે ને વધારે કડક બનાવવો જોઈએ, પણ એની અમલવારી સુસંસ્કૃત પરિવારે ક્યાંય કરવાની આવશ્યકતા રહેતી નથી, પણ આપણે ત્યાં બને છે સાવ જૂદું. કાયદાઓનું પાલન, આ પ્રકારની જાહેરાતોને અમલીય બનાવવાનું કામ જો કોઈ કરતું હોય તો એ સુસંસ્કૃત પરિવાર જ વધારે કરે છે.
આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની
નાનું કુટુંબ, સુખી રાષ્ટ્ર. વાત જરા પણ ખોટી નથી, પણ વાતનો સ્વીકાર કોણે નથી કરવાનો એ પણ સમજાય એ બહુ જરૂરી છે. જો આઇન્સ્ટાઇનને વધુ સંતાનો હોય તો એ આવકાર્ય છે, પણ લાદેનની નસબંધી થાય એ સમાજ માટે ઉપકારક છે. જો વિક્રમ સારાભાઈનો પરિવાર મોટો હોય તો એ રાષ્ટ્રને નવી ઊંચાઈઓ આપવાનું કામ કરી શકે, પણ ધારો કે દાઉદનો પરિવાર મોટો હોય તો એ રાષ્ટ્રને નાલોશી સિવાય કશું ન આપે. સમજદારી અપનાવજો.
ન્યુ ઝીલૅન્ડ આંખ સામેનું શ્રેષ્ઠ રાષ્ટ્ર છે.