Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગૌરવ તરફ એક ડગઃશરીર એક અદભુત એન્જિન છે, પણ સાચવશો નહિ તો એ ફટાકડા ફોડશે

ગૌરવ તરફ એક ડગઃશરીર એક અદભુત એન્જિન છે, પણ સાચવશો નહિ તો એ ફટાકડા ફોડશે

12 July, 2019 08:33 AM IST | મુંબઈ ડેસ્ક
મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ગૌરવ તરફ એક ડગઃશરીર એક અદભુત એન્જિન છે, પણ સાચવશો નહિ તો એ ફટાકડા ફોડશે

ગૌરવ તરફ એક ડગઃશરીર એક અદભુત એન્જિન છે, પણ સાચવશો નહિ તો એ ફટાકડા ફોડશે


મેરે દિલ મેં આજ ક્યા હૈ? 

શરીરની તો આપણે ઘોર ખોદી નાખીએ છીએ અને શરમની વાત એ છે કે એ પછી આપણને સૌથી વધારે એ જ વાતો વાંચવી, સાંભળવી ગમે છે. ધાર્યુ હતું કે સ્વાસ્થ્યને લગતી આ સીરિઝ વાચકોને સૌથી ઓછી પસંદ આવશે પણ બન્યું છે એનાથી સાવ અવળું, સૌથી વધારે રિસ્પોન્સ આ સીરિઝમાં મળ્યો અને લોકો ઉત્સુકતા સાથે સ્વાસ્થ્ય અને પોતાની ખાનપાનની આદતો વિશે વાત પણ કરે છે અને સવાલ પણ પૂછે છે.



એક વાત બહુ સ્પષ્ટ છે, કશું નહીં કરો તો ચાલશે, બસ ખાનપાનમાં ધ્યાન રાખજો. આ જ વાતને બીજા દૃષ્ટિકોણથી પણ સમજી લેવી જોઈશે. જો બધું કરશો પણ ખાનપાનમાં ધ્યાન નહીં રાખો તો કશું વળવાનું નથી. સવારે જાગીને બે કપ ચા પીધી અને પછી એક્સરસાઇઝને ખરાબ ન લાગે એની માટે થોડી નામ પૂરતી એક્સરસાઇઝ કરી લીધી. એ પછી નાસ્તો કરવા બેઠા અને એ નાસ્તા સાથે બીજા બે કપ ચા લીધી. પછી શૉવર લેવા ગયા અને પાછા આવીને દીકરા સાથે બેસીને નવેસરથી કૉલ્ડ કૉફી પીધી. ઑફિસે જવાની તૈયારી કરી લીધી એટલે ગુણવંતી ધર્મપત્ની કોમ્પ્લાન લઈ આવી. ઑફિસે જઈને ગરમ પાણી પીને દિવસની શરૂઆત કરી અને પછી બે ગેસ્ટ આવ્યા એટલે એની સાથે કલિંગરનો જ્યૂસ પેટમાં ઓર્યો. કલાક પછી એક અગત્યની મીટિંગ શરૂ કરી, નવા ક્લાયન્ટની વાત છે એટલે એને ઇમ્પ્રેસ કરવા મગાવેલો નેચરલનો ટેન્ડર કોકોનટ આઇસક્રિમ પેટમાં પધરાવી દીધો. પછી મિલ્ક શૅક પીધો અને પછી ચા પીવી અને પછી જમવા બેસતી વખતે લૂસપૂસ રોટલીના ટુકડા ઓર્યા અને અચાનક યાદ આવ્યું કે સલૅડ ખાવું જોઈએ એટલે સલૅડ પણ પેટમાં ઘોંચી દીધું. બસ, આમ દિવસ પૂરો થાય અને પૂરા થતા દિવસનો થાક ઉતારવા ઘીમાં સાંતળેલા અઢીસો ગ્રામ કાજુ અને મરી ભભરાવેલા ચીઝના બેચાર ક્યૂબ સાથે વ્હિસ્કીના બે ગ્લાસ પી લીધા. દસ વાગી ગયા છે એટલે હવે પેટમાં કંઈ નાખવું ન જોઈએ એવી સલાહ સાથે દૂધનો એક ગ્લાસ પીને હોજરીને આરામ આપવાનું ચાલુ કર્યું.


આ પણ વાંચો : ગૌરવ તરફ એક ડગઃ જીવનને સરળ ન કરી શકો તો કંઈ નહીં, પણ એને અઘરું ન બનાવો

ધૂળ અને ઢેફાં. આ હોજરીને આરામ આપ્યો ન કહેવાય. સામૂહિક બળાત્કાર પછી કન્યાને થોડીવાર માટે એકલી મૂકી કહેવાય. યાદ રાખજો, શરીર એક અદભુત એન્જિન છે, એ બધા જુલમો સહન કરે છે પણ એક દિવસ જ્યારે એ ખોટકાઈ જાય ત્યારે એ ફટાકડા ફોડવા માંડે છે, ધુમાડા કાઢવા માંડે છે અને ફાટી ગયેલા સાયલન્સરમાંથી જેવો કર્કશ અવાજ નીકળે એવો દેકારો કરવા માંડે છે. આ દેકારો ન સહન કરવો હોય તો મહેરબાની કરીને શરીર ઉપર દયા કરો. શરીરમાં ભગવાન રહે છે એવું શાસ્ત્રો કહે છે, સાચું કે ખોટું એ તો મહર્ષિને ખબર, પણ આપણે એને સાચું માનીને આ શરીરમાં રહેલા ભગવાનનો આદર કરીએ અને એને તંદુરસ્ત રાખીએ. બીજું કશું ન કરો તો કંઈ નહીં, બસ રાતે ખાવાનું છોડવાનું શરૂ કરો. ક્યાંય જૈન ધર્મની ફિલોસોફીને ધ્યાનમાં રાખીને આ સલાહ આપવામાં નથી આવી, પણ એક હકીકત એ પણ એટલી જ સાચી કે, જૈન ધર્મની આ ફિલોસોફીને શરીરાચાર્યના લાભમાં વાપરવા જેવી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2019 08:33 AM IST | મુંબઈ ડેસ્ક | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK