Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ટેક્નૉલૉજી જ્યારે માણસ પર હાવી થાય ત્યારે એની સર્જનાત્મકતા મરી જાય છે

ટેક્નૉલૉજી જ્યારે માણસ પર હાવી થાય ત્યારે એની સર્જનાત્મકતા મરી જાય છે

29 September, 2019 11:09 AM IST | મુંબઈ
મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

ટેક્નૉલૉજી જ્યારે માણસ પર હાવી થાય ત્યારે એની સર્જનાત્મકતા મરી જાય છે

હેય, વૉટ્સઍપ યુઝિંગ મી

હેય, વૉટ્સઍપ યુઝિંગ મી


ટેક્નૉલૉજી માણસ માટે જ બની છે અને એની સુખાકારી માટે જ એનો જન્મ થયો છે. સાવ સાચું છે અને આમાં કશું ખોટું પણ નથી, પરંતુ આ વાત ત્યાં સુધી જ લાગુ પડે જ્યાં સુધી તમે એ ટેક્નૉલૉજીને તમારા કાબૂમાં રાખો, પણ અત્યારે એવું નથી થઈ રહ્યું. અત્યારે માણસ વૉટ્સઍપ નથી વાપરતો, પણ વૉટ્સઍપ માણસને ખર્ચતું થઈ ગયું છે. તમે લૉન્ગ ડિસ્ટન્સ પર હો અને તમારો સોશ્યલ મીડિયાનો ઉપયોગ વધારે હોય, આ પ્રકારની ચૅટ-ઍપનો ઉપયોગ વધારે હોય એ સમજી શકાય; પણ જ્યારે તમે તમારા પરિવાર સાથે, તમારા આખા કુટુંબ સાથે એક જ શહેરમાં રહેતા હો, તમારી કંપની પણ એ જ શહેરમાં હોય અને એ પછી તમે જો વૉટ્સઍપ પર પડ્યાપાથર્યા રહેતા હો તો તમારે કબૂલ કરવું જોઈએ કે તમને આ પ્રકારના મેસેન્જરનું વ્યસન લાગુ પડી ગયું છે અને આ વ્યસન કાઢવું આકરું છે. એટલું જ આકરું જેટલું તમાકુ અને આલ્કોહૉલનું વ્યસન કાઢવું અઘરું છે.
સોશ્યલ મીડિયાનો ઉપયોગ તમારા હેતુસર થાય તો એમાં કશું ખોટું નથી. એ તમારું કામ સરળ કરે છે એટલે તમે એનો મૅક્સિમમ ઉપયોગ કરો છો એવી જો તમારી દલીલ હોય તો પણ એ શરમજનક છે. આ શરમજનક વાતનું કારણ માત્ર એ જ છે કે તમે કામને કરવા ખાતર કરી રહ્યા છો, કામના શૉર્ટકટ તમને વધારે યોગ્ય લાગે છે અને એ શૉર્ટકટને લીધે તમે તમારી કરીઅરને પણ અન્યાય કરી રહ્યા છો. એક વાત યાદ રાખજો કે જે કામમાં સૌથી વધારે મહેનત પડે એ જ કામમાં પારંગત આવે. આ સૃષ્ટિનો નિયમ છે અને આ નિયમ જરા પણ ખોટો નથી.

વૉટ્સઍપે જીવનમાં સરળતા લાવવાનું કામ કર્યું છે, પણ એ સરળતાને સહજતા બનાવવાની ભૂલ આપણે કરી છે. બે દિવસ પહેલાં કહ્યું હતું એમ આપણે ઇન્ડિયન જ એવી પ્રજા છીએ જે દિવસનો મૅક્સિમમ સમય આ પ્રકારના સોશ્યલ મીડિયાને આપીએ છીએ. આપણે જ એ પ્રજા છીએ જેને માટે કોકાકોલા અને બર્ગર, પીત્ઝા જીવન બની ગયું છે અને આપણે જ એ પ્રજા છીએ જેને ફરવા જવાનું નામ આવે ત્યારે બૅન્ગકૉક, દુબઈ પહેલાં યાદ આવે છે. આ ફરિયાદ છે એવું કહેવાને બદલે હું એવું કહેવાનું પસંદ કરીશ કે આ પીડા છે અને આ પીડાએ ક્યાંક ને ક્યાંક આપણને સૌને પાછળ રાખ્યા છે.



આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..


આજે પણ ધોળી ચામડી આપણને આકર્ષે છે, આજે પણ ફૉરેન-રિટર્ન શબ્દનું આપણને ગ્લૅમર છે. આજે પણ અંગ્રેજી આપણું ધ્યાન ખેંચી લે છે અને આજે પણ અંગ્રેજો દ્વારા બનેલી ચીજવસ્તુ આપણને સૌને લાલચ જન્માવી દે છે. મૂળમાં વાત એ છે કે આપણે આજે પણ ફૉરેનની હરોળમાં ઊભા રહેવા માટે ભાગીએ છીએ, પણ એ જોવા માટે રાજી નથી કે એ લોકો ખરેખર એ બધી દુન્યવી ચીજવસ્તુઓથી જોજનો દૂર છે. સોશ્યલ મીડિયાની સાથે સોશ્યલ થવાને બદલે પહેલાં પર્સનલ લાઇફને પ્રાધાન્ય આપો. બહુ જરૂરી છે આ. સોશ્યલ મીડિયા એ ગામનો ચોરો છે, ગામનું પાદર છે અને ત્યાં એકઠા થનારાઓ માત્ર ને માત્ર ચોવટ કરવા માટે જ એકત્રિત થતા હોય છે. યાદ રાખજો કે ચોરે વાત કરવા બેસવાનું ન હોય, ચોરે બેઠેલા તમારી વાત કરે એવું જીવન જીવવાનું હોય.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2019 11:09 AM IST | મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK