વિશ્વભારતી શતાબ્દિ ઊજવણીમાં મમતા બેનર્જીને આમંત્રણ મળ્યું ન હતું
બંગાળના શાસક પક્ષ ટીએમસીએ ગુરુવારે આક્ષેપ લગાવ્યો હતો કે, વિશ્વભારતીની શતાબ્દિ ઊજવણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.
પત્રકાર પરિષદને સંબોધતાં રાજ્ય મંત્રી અને ટીએમસી નેતા બ્રત્યા બાસુએ દાવો કર્યો હતો કે, વિડિયો કોન્ફરન્સ થકી કેન્દ્રીય યુનિવર્સિટીની સભામાં ભાગ લેનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વક્તવ્યની વિગતો “ભૂલભરેલી” હતી.
ADVERTISEMENT
એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું, “તમે કહો છો, તેમ ગઇ રાત્રે આમંત્રણ અપાયું હોય, તો પણ શું તે ઉચિત છે? આખરે, તેઓ (મમતા) રાજ્યનાં મુખ્યમંત્રી છે.”
તેમણે જણાવ્યું હતું કે, “પીએમે જણાવ્યું કે, સત્યેન ટાગોરનાં પત્ની (રવિન્દ્રનાથ ટાગોરનાં ભાભી) ગુજરાતી શૈલીમાં સાડી પહેરતાં ગુજરાતી મહિલાઓ પાસેથી શીખ્યાં હતાં. વાસ્તવમાં, તેઓ ગુજરાતી અને પારસીઓ પાસેથી તે શીખ્યાં હતાં, પણ પીએમે પારસીઓનો ઉલ્લેખ ન કર્યો.”
આગળ તેમણે ઉમેર્યું હતું કે, “પીએમે તેમના સંબોધન દરમિયાન દિલ્હી અને લાહોરની યુનિવર્સિટીઓ વિશે વાત કરી, પણ કલકત્તા યુનિ.નો ઉલ્લેખ કરવાનું ચૂકી ગયા, વાસ્તવમાં દેશની આઝાદીની ચળવળમાં કલકત્તા યુનિવર્સિટીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.”