ડોમ્બિવલીની વિધિ છેડાને મળ્યા પૂરેપૂરા 100 ટકા માર્ક્સ મળ્યા
વિધિ છેડા સિસ્ટર નિવેદિતા ઇંગ્લિશ સ્કૂલ, ડોમ્બિવલી
ડોમ્બિવલીમાં રહેતી વિધિ છેડા એસએસસી બોર્ડમાં ૧૦૦ ટકાની સાથે થાણે જિલ્લામાં ફર્સ્ટ આવી હતી. વિધિ બાયોટેક ટેક્નૉલૉજી ફીલ્ડમાં આગળ વધી પોતાનું કરિયર બનાવશે. પોતાની સફળતાનો શ્રેય ટીચર્સ અને પેરન્ટ્સને આપ્યો હતો.
નિયમિત ધોરણે મારી સ્ટડી હું પૂરી કરતી અને રોજેરોજ અભ્યાસ માટે જે ટાઇમ ટેબલ બનાવતી એને કોઈ પણ સંજોગોમાં પૂરો કરીને જ રાતે સૂતી હતી, એમ કહેતાં વિધિ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્કૂલમાં તેમ જ ક્લાસિસમાં હું સ્ટડી પર પૂરતું ધ્યાન આપતી હતી અને એ સિવાય ઘરે આવીને પણ સ્ટડી કરી લેતી હતી. રોજેરોજના વાંચવાને કારણે પરીક્ષા સમયે મને જરા પણ ટેન્શન નહોતું. સ્ટડીની સાથે હું મારી હૉબી માટે પણ સમય કાઢતી હતી. હું સ્ટુડન્ટ્સને એ જ મેસેજ આપીશ કે એસએસસી બોર્ડ છે એમ સમજીને સ્ટડી માટે ક્યારેય ટેન્શન લેવું નહીં. નૉર્મલ રીતે સ્ટડી કરો અને તમારું બેસ્ટ આપો સાથે પોતા પર વિશ્વાસ રાખો, તમને સફળતા જરૂર મળશે.’
ADVERTISEMENT
નર્સરીથી વિધિનો હંમેશાં ફર્સ્ટ રૅન્ક જ આવતો હતો એમ કહેતાં સિસ્ટર નિવેદિતા ઇંગ્લિશ સ્કૂલનાં પ્રિન્સિપાલ નિકિતા શેવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે સ્ટડીની સાથે વિધિ અધર ઍક્ટિવિટીમાં પણ એટલી જ હોશિયાર છે. નિધિ એક સારી ઍન્કર પણ છે, એનામાં જરાપણ સ્ટેજ ફીઅર નથી. કથક ડાન્સર છે. શૉર્ટમાં કહું તો વિધિ છેડા ઑલરાઉન્ડર ગર્લ છે.’
વિધિને સ્ટડી માટે અમે કયારેય પ્રેશર કર્યું નથી, એમ કહેતાં વિધિની મમ્મી દિપ્તી છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભણવામાં વિધિ નાનપણથી જ હોશિયાર છે. નવમા ધોરણ સુધી તે હંમેશાં ફર્સ્ટ રૅન્ક લઈ આવતી. એસએસસી બોર્ડમાં તેને સારા માર્ક્સ આવશે એની તો ખાતરી હતી, પરંતુ પૂરા ૧૦૦ ટક આવતાં અમે બહુ જ ખુશ છીએ.’
બ્રેઇન ટ્યુમરને કારણે વિઝન ગુમાવનાર બોરીવલીની સ્નેહા રાવલને SSC બોર્ડમાં ૭૫.૮૦ ટકા આવ્યા
નબળા મનના માનવીને રસ્તોય જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. આ પંક્તિને બોરીવલીમાં રહેતી સ્નેહા રાવલ સાર્થક કરે છે. ગઈ કાલે જાહેર થયેલા SSC બોર્ડમાં તેને ૭૫.૮૦ ટકા આવ્યા હતા. સ્નેહા જ્યારે સાત વર્ષની હતી ત્યારે બ્રેઇન ટ્યુમરને કારણે તેનું વિઝન ચાલી ગયું હતું છતાં પણ સ્નેહાએ હાર માની નહોતી અને હિંમતભેર તેણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને ટીચર્સની મદદથી પોતે કરેલી મહેનતને લીધે SSC બોર્ડમાં સારા માર્ક્સ લાવ્યા હતા. પોતાની સફળતાનું શ્રેય સ્નેહાએ ટીચર્સ અને માતાપિતાને આપ્યું હતું.
સ્કૂલમાં હું સાંભળી-સાંભળીને બધું યાદ રાખીને સ્ટડી કરતી હતી એમ જણાવતાં સ્નેહા રાવલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નિયમિત ધોરણે હું અભ્યાસ કરી લેતી હતી જેથી પરીક્ષા સમયે બર્ડન ન આવે. ’
સ્નેહાને સ્કૂલના ટીચર્સનો સહકાર મળ્યો હતો એમ જણાવતાં સ્નેહાના પપ્પા દર્શનભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દસ વર્ષ પહેલાં સ્નેહાને બ્રેઇન ટ્યુમર થઈ જવાથી અમને આઘાત લાગ્યો હતો, પરંતુ સ્નેહાએ હિંમતભેર એનો સામનો કર્યો અને એની અસર સ્નેહાએ આજ સુધી તેના અભ્યાસ પર થવા નથી દીધી.’