મુંબઈ : ડૉન્ટ વરી, દિવાળી સુધી સ્કૂલ નહીં ખૂલે
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી ગાઇડલાઇન્સ પ્રમાણે ૧૫ ઑક્ટોબરથી રાજ્યમાં સ્કૂલ શરૂ કરવાની પરવાનગી આપી છે, પણ પેરન્ટ્સ સરકારના આ નિર્ણયથી ઘણા ચિંતામાં મુકાઈ ગયા છે. જોકે મહારાષ્ટ્ર સરકારની દિવાળી સુધી સ્કૂલ શરૂ કરવાની કોઈ યોજના નથી. વધુમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સ બાદ રાજ્ય સરકારે કોઈ પ્રતિક્રિયા ન આપી હોવાથી પેરન્ટ્સ વધારે મૂંઝવણમાં મુકાયા છે. ગયા મહિને સ્કૂલ-મૅનેજમેન્ટ સાથે રાજ્યના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની યોજાયેલી મીટિંગમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે દિવાળી સુધી સ્કૂલ શરૂ કરવામાં નહીં આવે.
‘મિડ-ડે’ સાથે વાત કરતાં એજ્યુકેશન કમિશનર વિશાલ સોલંકીએ કહ્યું કે ‘થોડા સમય પહેલાં યોજાયેલી મીટિંગમાં બન્ને પક્ષોએ આપસી સહમતીથી સ્કૂલ શરૂ ન કરવાનો નિર્ણય લીધો હતો. દિવાળી પછી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ જ કોઈ નિર્ણય લઈને આગળ વધવામાં આવશે.’
ADVERTISEMENT
ઇન્ડિયા વાઇડ પેરન્ટ્સ અસોસિએશન (આઇબ્લ્યુપીએ)ના અનુભા શ્રીવાસ્તવે જણાવ્યું કે ‘પેરન્ટ્સ ઘણા મૂંઝવણમાં છે અને મોટા ભાગનાં માતા-પિતા સ્કૂલ ફરીથી શરૂ થશે એવી ચિંતામાં છે. જોકે આવી ચિંતામાં શિક્ષકો પણ છે. જો સ્કૂલ ફરીથી શરૂ કરવામાં આવશે તો પરિસ્થિતિને સંભાળી નહીં શકાશે. વિદ્યાર્થીઓ ફક્ત શાળામાં નહીં, પણ શાળાની બહાર ભેગા ન થાય એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે. સ્કૂલ કરતાં વિદ્યાર્થીઓ ઘરે ભણે એ જ વધારે સુરક્ષિત છે. વળી દરેક વિદ્યાર્થી સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે છે કે નહીં એ તપાસવું એક શિક્ષક માટે પણ અઘરું રહેશે.’