મહારાષ્ટ્રમાં ફાઇનલી ગુરૂવારે ફેંસલો?
મહારાષ્ટ્રમાં થવા શું બેઠું છે એની કોઈને ખબર નથી; હા, કદાચ શરદ પવાર, સોનિયા ગાંધી અને ઉદ્ધવ ઠાકરે સિવાય. કૉન્ગ્રેસ-એનસીપીની આજની બેઠકમાં સરકારની રચના વિશે ચર્ચા થવાની છે. બીજી તરફ શિવસેનાના વિધાનસભ્યોની ગુરુવારે બેઠક બોલાવવામાં આવી છે જેનું નેતૃત્વ ખુદ ઉદ્ધવ ઠાકરે કરવાના છે. રસપ્રદ વાત એ છે કે શિવસેનાના વિધાનસભ્યોને પાંચ દિવસ માટેનાં કપડાં, આધાર કાર્ડ અને પૅન કાર્ડ લઈ આવવાનું કહેવામાં આવ્યું છે. શું ૨૨ નવેમ્બરનો ગુરુવાર મહારાષ્ટ્રના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની રહેશે?
મંગળવારે પણ રાજધાની દિલ્હીમાં મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારની રચના સંબંધી ગતિવિધિઓ જોરશોરથી ચાલી રહી હતી. દિલ્હીમાં કૉન્ગ્રેસ-એનસીપીની બેઠક મુલતવી રહી છે, પરંતુ નજીકના ભવિષ્યમાં નવા પ્રધાનમંડળની શપથવિધિ યોજાઈ શકે એવી વ્યવસ્થાના સ્પષ્ટ નિર્દેશ મળતા નથી. રાજ્યમાં ટૂંક સમયમાં નવી સરકાર સ્થપાય એવી શક્યતા જણાતી નથી.
ADVERTISEMENT
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે ‘ગઈ કાલે કૉન્ગ્રેસના નેતાઓ ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતીની ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી મહારાષ્ટ્રમાં સરકારની રચના વિશે ચર્ચા માટેની બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. કૉન્ગ્રેસના નેતાઓએ બેઠક બુધવાર પર મુલતવી રાખવાનો અનુરોધ કર્યો હતો. સંભવિત ગઠબંધન વિશે મંત્રણા કરવા માટે કૉન્ગ્રેસ-એનસીપી તરફથી પ્રતિનિધિઓ નિયુક્ત કરવામાં આવ્યા છે.’
ગઈ કાલે કૉન્ગ્રેસ તરફથી મહામંત્રી કે. સી. વેણુગોપાલ, મલ્લિકાર્જુન ખડગે, એહમદ પટેલ અને રાજ્યના કેટલાક નેતાઓ તેમ જ એનસીપી તરફથી પ્રફુલ પટેલ, સુનીલ તટકરે, અજિત પવાર અને જયંત પાટીલ બેઠકમાં સામેલ થવાના હતા. બેઠકમાં સૌપ્રથમ શિવસેના સાથે ગઠબંધનની શક્યતા તપાસવાનો વ્યાયામ કરવાના હતા. એનસીપીના પ્રમુખ શરદ પવાર સોમવારે કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા હતા. શરદ પવારે કહ્યું હતું કે ‘એ બેઠકમાં સરકાર રચવા વિશે કોઈ વાતચીત થઈ નહોતી. ફક્ત રાજ્યની સ્થિતિ વિશે સોનિયાજીને માહિતી આપવામાં આવી હતી. સરકાર સ્થાપવા વિશે કોઈ પણ અભિગમ વ્યક્ત કરતાં પહેલાં કૉન્ગ્રેસ, એનસીપી અને સાથીપક્ષો સાથે ચર્ચા કરવાની રહેશે.
દરમ્યાન દિલ્હીમાં શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘આવતા મહિનાના આરંભમાં મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વવાળી સરકાર સત્તા સ્થાપશે. એ સ્થિર સરકાર રહેશે. શિવસેના સત્તા સ્થાપશે એમાં બેમત નથી. ફક્ત પ્રસારમાધ્યમો ગૂંચવણ પેદા કરે છે.’