મહારાષ્ટ્રના વધુ એક પ્રધાનને કોરોનાનું સંક્રમણ થયું
ધનંજય મુંડે
મહારાષ્ટ્રના વધુ એક કૅબિનેટ પ્રધાનનો કોવિડ-૧૯ ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાનું સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું. મરાઠવાડા પ્રાંતના તથા એનસીપીના આ પ્રધાને સપ્તાહના પ્રારંભે યોજાયેલી કૅબિનેટ બેઠકમાં ભાગ લીધો હતો. ધનંજય મુંડે નામના આ પ્રધાન કોરોના પૉઝિટિવ આવ્યો હોય તેવા મહારાષ્ટ્રના ત્રીજા કૅબિનેટ મેમ્બર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ‘પ્રધાનનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાનું ગુરુવારે મોડી રાતે જાણવા મળ્યું હતું. તેમને મુંબઈમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.’ પ્રધાન ઉપરાંત તેમના પર્સનલ સ્ટાફના કેટલાક સભ્યોનો પણ કોરોના ટેસ્ટ-રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય પ્રધાન અને એનસીપીના નેતા રાજેશ ટોપેએ કહ્યું હતું કે ‘એ સત્ય છે કે ધનંજય મુંડેનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જો કે તેમને શ્વાસ લેવામાં થોડીક મુશ્કેલી સિવાયની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. અમે તેમને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં એડ્મિટ કરી રહ્યા છીએ. ધનંજય મુંડે લડાયક વ્યક્તિ છે. તેઓ આઠથી દસ દિવસમાં સાજા થઈ જશે.’ આ અગાઉ બે કૅબિનેટ પ્રધાનો અશોક ચવાણ (કૉન્ગ્રેસ) અને જિતેન્દ્ર આવ્હાડ (એનસીપી)નો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો. જો કે બાદમાં તેઓ સાજા થઈ ગયા હતા.