મહંત નૃત્યગોપાલદાસ રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખપદે ચૂંટાયા
શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પહેલી બેઠકમાં હાજર રહેલા ટ્રસ્ટીઓ. તસવીર : પી.ટી.આઇ.
અયોધ્યામાં રામમંદિર બાંધવા માટે કેન્દ્ર સરકારે સ્થાપેલા શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ગઈ કાલે યોજાયેલી પ્રથમ બેઠકમાં ટ્રસ્ટના પ્રમુખપદે મહંત નૃત્યગોપાલદાસ, મંત્રીપદે ચંપતરાય અને સ્વામી ગોવિંદ દેવગિરિ ખજાનચીના હોદ્દા પર ચૂંટાયા હતા. નવી દિલ્હીમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી કે. પરસરામના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં વડા પ્રધાનના ભૂતપૂર્વ અગ્ર સચિવ નૃપેન્દ્ર મિશ્રાને ટ્રસ્ટની મંદિર બાંધકામ સમિતિના પ્રમુખપદે ચૂંટવામાં આવ્યા હતા.
રામમંદિરના બાંધકામ માટે દાનની રકમ જમા કરવા માટે સ્ટેટ બૅન્કની અયોધ્યા શાખામાં ખાતું ખોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિરૂપે ગૃહ મંત્રાલયના અતિરિક્ત સચિવ જ્ઞાનેશકુમાર અને ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારના પ્રતિનિધિરૂપે અવિનાશ અવસ્થી તથા અયોધ્યાના કલેક્ટર અનુજ કુમાર ઝા ઉપસ્થિત હતા.