ખારઘરમાં ન્યાયાધીશની પત્નીની હત્યા
પોલીસે જણાવ્યું હતું કે ‘આ હત્યા પાછળ લૂંટનો ઇરાદો હતો અને પોલીસે ત્રણમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓની ઓળખ મનિન્દર સિંહ અને વિનાયક ચવાણ તરીકે થઈ છે. બન્ને આરોપીઓને શનિવારે તેમના ઘરમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. ચવાણ આસપાસના વિસ્તારોમાં નાનાં-મોટાં કામ કરી ગુજરાન ચલાવે છે અને તે જયસ્વાલના ઘરની નિયમિત મુલાકાત લેતો હતો. આ ઘટનાનો સૂત્રધાર ચવાણ છે અને તેણે મીનાક્ષીની હત્યા તેના બે મિત્રો સાથે મળીને કરી છે. ઘટના વખતે ચવાણ ધ્યાન રાખવા માટે નીચે ઊભો રહ્યો હતો, જ્યારે સિંહ અને ત્રીજા આરોપીએ ઉપર જઈને મીનાક્ષીની હત્યા કરી હતી. તેમણે મીનાક્ષીનું ગળું ચીરી નાખ્યું હતું અને અન્ય ઈજા પહોંચાડી હતી. જયસ્વાલના ઘરમાંથી લગભગ બે લાખ રૂપિયાની માલમતા ચોરાઈ છે જેમાં સોનાની વીંટી, સોનાની ચેઇન અને થોડા રૂપિયાનો સમાવેશ છે. અમે ત્રીજા આરોપીને શોધી રહ્યા છીએ.’