હૈદરાબાદની જેમ ઉન્નાવમાં પણ રેપ પીડિતાને જીવતી બાળવાનો પ્રયાસ
યુવતીને સારવાર માટે લખનઉના ટ્રોમા સેન્ટરમાં લઈ જવાઈ હતી. તસવીર : પીટીઆઈ
હૈદરાબાદની રેપપીડિતાની ઘટના હજી તાજી છે ત્યાં ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક રેપપીડિતાને જીવતી જલાવી દેવાની હૃદયવિદારક ઘટના બની હતી.
આ ઘટનાની વિગત એવી છે કે ગૅન્ગરેપના આરોપીઓને સ્થાનિક કોર્ટે જામીન પર છોડ્યા હતા. આ બન્ને આરોપીઓએ બીજા ત્રણ સાથીઓની મદદથી રેપપીડિતાને જીવતી જલાવી દીધી હતી. પીડિતાને ૯૦ ટકા બર્ન ઈજા થઈ છે અને ડૉક્ટરોના મતે તેની ઊગરવાની શક્યતા ઝીરો છે. તેને ગંભીર સ્થિતિમાં લખનઉના ટ્રોમા સેન્ટરમાં રવાના કરાઈ હતી. ગંભીર સ્થિતિમાં પણ યુવતીએ દૃઢ મનોબળ જાળવીને પોલીસને પાંચેપાંચ આરોપીઓની ઓળખ નામ સાથે આપી હતી.
ADVERTISEMENT
પોલીસે પાંચેપાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. આ યુવતી પર બે આરોપીઓએ ગયા વર્ષે ડિસેમ્બરમાં બળાત્કાર કર્યો હતો. ચાલુ વર્ષના માર્ચમાં બન્નેને પોલીસે જેલમાં ધકેલી દીધા હતા. બે દિવસ પહેલાં જ આ બન્ને જામીન પર છૂટ્યા હતા. યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશમાં હજી તો ૧૦ દિવસ પહેલાં જ સંભલ વિસ્તારમાં પણ સગીર વયની એક બાળકી પર રેપ થયો હતો. ઉન્નાવની ઘટના હિન્દુનગર નામના ગામની હતી.