લવ જેહાદના વટહુકમને યોગી સરકારની મંજૂરી
ફાઈલ ફોટો
ઉત્તર પ્રદેશમાં આજે એક ઐતિહાસિક વટકુહમને મંજૂરી આપવામાં આવી છે. જો ધર્મ છૂપાવી લગ્ન કરવો તો તે ગુનો બનશે. મંગળવારે સાંજે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની કેબિનેટે લવ જેહાદ સામે વટહુકમ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
લવ જેહાદ અંગે 20મી નવેમ્બરના રોજ ગૃહ મંત્રાલયે એક પ્રસ્તાવ તૈયાર કરી મોકલી આપ્યો હતો. આ પ્રસ્તાવ પ્રમાણે બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ દાખલ થશે અને દોષિત ઠરવાના સંજોગોમાં 10 વર્ષની કઠોર સજા થઈ શકે છે. અલબત આ ડ્રાફ્ટ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યુ નથી.
ADVERTISEMENT
તેમ જ ઉત્તર પ્રદેશ દેશનું પહેલુ રાજ્ય બની ગયુ છે, જેને લવ જેહાદ સામે કાયદાને મંજૂરી આપી છે. ઉત્તર પ્રદેશ ઉપરાંત મધ્ય પ્રદેશ, બિહાર, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં પણ લવ જેહાદ સામે કાયદો બનાવવા માટેની તૈયારી ચાલી રહી છે.
આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશની વિધાનસભામાં પણ લવ જેહાદ વિરોધી ખરડો
યુપીના લો કમીશનના વડા આદિત્ય નાથ મિત્તલના મતે ભારતીય બંધારણે ધાર્મિક સ્વતંત્રતા આપી છે. પણ કેટલીક એજન્સી તેનો ગેરઉપયોગ કરી રહી છે. તેઓ ધર્મ પરિવર્તન માટે લોકોને લગ્ન, નોકરી અને લાઈફ સ્ટાઈલની લાલચ આપે છે. અમે આ મુદ્દે વર્ષ 2019માં જ ડ્રાફ્ટ સોપ્યો હતો. તેમા અત્યાર સુધીમાં ત્રણ વખત ફેરફાર કરવામાં આવ્યો છે. અંતિમ ફેરફારમાં અમે સજાની જોગવાઈ ઉમેરી છે.
ડ્રાફ્ટ અનુસાર, લગ્ન માટે બદઈરાદાથી ધર્મ પરિવર્તન માટે કરવામાં આવતા લગ્ન પણ ધર્માંતરણ કાયદા હેઠળ આવી જશે. જો કોઈ ધર્મ પરિવર્તન માટે માનસિક અને શારીરિક રીતે અત્યાચાર કરે છે તો તે પણ આ નવા કાયદા હેઠળ આવશે. ધર્માંતરણના કીસ્સામાં જો માતા-પિતા, ભાઈ-બહેન અથવા અન્ય બ્લડ રિલેશન ધરાવતી વ્યક્તિ ફરિયાદ કરે છે તો તેમની ફરિયાદ પર કાર્યવાહી શરૂ કરી શકાશે. ધર્માંતરણ માટે દોષિત જણાતા એક વર્ષથી 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. લગ્ન કરાવનાર પંડિત કે મૌલવીને તે ધર્મ અંગે સંપૂર્ણ જાણકારી હોય તે જરૂરી છે.
ડ્રાફ્ટ પ્રમાણે લવ જેહાદ જેવા કીસ્સામાં સહયોગ કરનારને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવશે અને દોષિત જણાતા તેને પણ સજા થશે. લગ્ન માટે ધર્માંતરણ કરાવનારને પણ સજાની જોગવાઈ છે. જો કોઈ પોતાની ઈચ્છાથી લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવા ઈચ્છે છે તો તેને એક મહિના અગાઉ કલેક્ટરને અરજી આપવી પડશે. આ અરજી ફરજિયાત હશે.