ઑક્સફર્ડની વૅક્સિનનો યુવાનો અને વૃદ્ધોમાં મળે છે સારો ઇમ્યુન રિસ્પૉન્સ
પ્રતીકાત્મક તસવીર
યુવાનો અને વૃદ્ધો બન્નેમાં ઑક્સફર્ડની કોરોના વિરોધી વૅક્સિન દ્વારા ઇમ્યુન રિસ્પૉન્સ અપાતાં કોરોના વાઇરસને કારણે ફેલાયેલી આર્થિક અરાજકતામાંથી માર્ગ મળવાની આશા ગઈ કાલે વધુ બળવત્તર બની હતી. આ રસી બનાવવામાં મદદરૂપ થઈ રહેલી કંપની ઍસ્ટ્રાઝેનકાએ ગઈ કાલે જણાવ્યું હતું કે વૃદ્ધોમાં આ વૅક્સિનની આડઅસર મર્યાદિત હોવાનું પણ જણાયું છે.
બીજી તરફ ભારતમાં પૂરઝડપે ફેલાતા કોરોના વાઇરસનું સંક્રમણ કાબૂમાં આવતું જોવા મળી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બીજા સ્થાન પર છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા નોંધાતા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારે ત્રણ મહિના બાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી ઓછા ૪૫,૧૪૮ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા ૭૯,૦૯,૯૫૯ સુધી પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા દરમિયાન દેશમાં કોરોના વાઇરસના ઍક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૯,૧૦૫ દરદીઓ કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે જે રાહતની વાત છે. આ સાથે જ આ આંકડો વધીને ૭૧,૩૭,૨૨૮ સુધી પહોંચી ગયો છે.
ADVERTISEMENT
એનાથી સ્પષ્ટ થાય છે કે દેશભરમાં કોરોના વાઇરસના ઍક્ટિવ કેસનો આંકડો ૬,૫૩,૭૧૭ સુધી પહોંચ્યો છે. મહિનાઓ પછી છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં સૌથી ઓછા ૪૮૦ લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે.