ગુજરાતમાં લોકમેળા, ગણેશોત્સવ કે અંબાજીની પદયાત્રા નહીં યોજાય
ગણેશોત્સવ
ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ગઈ કાલે વડોદરાની મુલાકાતે હતા. અહીં ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને ૪ વર્ષ પૂરાં કરવા બદલ અભિનંદન આપ્યા છે. તો સાથે જ મહત્વની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને લઈ વિવિધ મંડળના આગેવાનોએ સરકારને રજૂઆત કરી હતી. કોરોનાને લઈ તહેવારો પર પ્રતિબંધ લગાવવા રજૂઆત કરી હતી. જેથી સરકારે ધાર્મિક તહેવારો પર પ્રતિબંધ મૂક્યો છે. કોરોના સંક્રમણમાં વધારો ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે, સાથે જ ઑગસ્ટ માસમાં આવતા તમામ તહેવારોને ન ઊજવવા તેઓએ અપીલ કરી છે. તો સાથે જ ઑગસ્ટ મહિનામાં આવતા તમામ તહેવારોની જાહેરમાં ઉજવણી પર ગુજરાત સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. વડોદરાની મુલાકાતમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે સરકારે જન્માષ્ટમીના સમયે ગુજરાતભરમાં લાગતા તમામ મેળાઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. લોકો ઘરે જ ગણેશજીની મૂર્તિ બેસાડી શકે છે. સાથે જ ઘરે જ લોકોને મૂર્તિનું વિસર્જન કરવું પડશે. આ ઉપરાંત અંબાજીની પદયાત્રા પણ આ વખતે પહેલી વાર નહીં યોજાય.
તો શ્રેય હૉસ્પિટલની કરુણાંતિકાને લઈને પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં આગ લાગતાં ૮ લોકો મૃત્યુ પામ્યા હતા. મુખ્ય પ્રધાને તપાસ કમિટી બનાવી છે. આગની ઘટના કેમ બની તે માટે પોલીસ તંત્ર તપાસ કરી રહ્યું છે. કોઈ પણ કસૂરવારને નહીં છોડાય. ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી દ્વારા સ્થળ તપાસ ચાલુ છે.