ટર્કીમાં અટવાયેલો વિલે પાર્લેનો જૈન પરિવાર છેક ૮૫ દિવસે ઘરે પાછો ફર્યો
વિલે પાર્લેના અમિત જૈનનો પરિવાર
વિલે પાર્લેના અમિત જૈનનો પરિવાર ૧૩ માર્ચે ટર્કીમાં વેકેશન માણવા રવાના થયો ત્યારે એ લોકો જાણતા નહોતા કે કોરોના રોગચાળાને કારણે તેમની રજા સજામાં બદલાઈ ગઈ હતી. એ સાત જણે ૮૫ દિવસ વિટંબણાઓ અને મુશ્કેલીઓમાં પસાર કર્યા હતા. એ પરિવાર વંદે ભારત ફ્લાઇટમાં ગયા મંગળવારે રાતે ઇસ્તમ્બુલથી નવી દિલ્હી પહોંચ્યો હતો. પચાસ વર્ષના અમિત જૈન, તેમનાં પત્ની છાયા, ત્રણ સંતાનો, ૭૦ વર્ષનાં માતા અને ૮૦ વર્ષના પિતા મળીને સાત જણ ટર્કીમાં અટવાઈ પડ્યાં હોવાનો અહેવાલ ‘મિડ-ડે’માં ૧૫મેએ પ્રગટ કરવામાં આવ્યો હતો. હવે એ પરિવાર ૧૪ દિવસના ક્વૉરન્ટીનમાં છે.
વર્ધમાન સંસ્કાર ધામ સહિત વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અમિત જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં મને ભારતીય રાજદૂતાલયમાંથી ફોન આવ્યો કે અમારે 8 જૂનની ફ્લાઇટમાં ભારત પહોંચવાનું છે. 85 દિવસોમાં અમારી મુખ્ય ચિંતા મારાં માતા-પિતાની તબિયતની હતી. એથી અમે પાછાં ઘરે પહોંચી ગયાં એનાથી ઘણી રાહત થઈ છે. પરદેશમાં કોઈ બીમાર પડે તો તેની સારવાર મુશ્કેલ બને છે, કારણ કે ત્યાંના ડૉક્ટરોને દરદીની મેડિકલ હિસ્ટરીની ખબર હોતી નથી. ઘરથી દૂર રહેવાને કારણે મારાં મમ્મીને વારંવાર નર્વસ બ્રેકડાઉનના હુમલા થતા હતા. ભારત આવવામાં જેટલું મોડું થતું હતું એટલી તેમની ચિંતા અને માનસિક તાણ પણ વધી રહ્યાં હતાં.’