હવે ભાંડુપ-મુલુંડમાં વીજ ઉપકરણો લોડમાં ફેરફારને કારણે બગડશે નહીં
Published: 1st November, 2011 19:32 IST
એકધારા થતા ભારનિયમન અને ઓછા-વધતા વીજપુરવઠાને કારણે ભાંડુપ, મુલુંડ સહિત થાણે શહેરમાં થતા શૉર્ટસર્કિટથી આગ લાગવાનું પ્રમાણ વધી જતાં તેમ જ અનેક વીજ-ઉપકરણો બગડી જતાં હોવાને કારણે એના પર નિયંત્રણ લાવવા માટે મહાવિતરણનું ભાંડુપ પરિમંડળ કૅપેસિટર બૅક નામની યોજના શરૂ કરવાનું છે. નવેમ્બરના અંત સુધીમાં આ યોજના અમલમાં આવી જશે જેના કારણે વીજગળતરનું પ્રમાણ પણ ઘટી જશે.
ઓછા-વધતા વીજળીના દબાણને કારણે મહાવિતરણનાં વીજ-વિતરણનાં ઉપકરણો બગડી જાય છે એટલું જ નહીં; વીજળીના વપરાશકારોનાં ટીવી, ફ્રિજ, કમ્પ્યુટર સહિત અનેક ઇલેક્ટ્રિક આઇટમો પણ શૉર્ટસર્કિટ થવાને કારણે બગડી જવાના બનાવમાં વધારો થયો છે. એના પર નિયંત્રણ લાવવા માટે મહાવિતરણ કંપનીએ કૅપેસિટર બૅકનો સહારો લીધો છે. ભાંડુપ પરિમંડળમાં આવતાં ભાંડુપ, મુલુંડ, થાણે સહિત વાશીમાં મહાવિતરણ કૅપેસિટર બૅક ઊભું કરવાની છે. મુલુંડ-વેસ્ટમાં સર્વોદય નગરમાં કૅપેસિટર બૅક બેસાડવામાં આવ્યું છે, જેને કારણે મુલુંડ વિસ્તારમાં નાગરિકોને અત્યારે યોગ્ય દબાણથી વીજપુરવઠો થઈ રહ્યો છે અને સાથે જ કૅપેસિટર બૅકના ઇક્વિપમેન્ટને કારણે વીજગળતરમાં ઘટાડો થયો છે. આ ઇક્વિપમેન્ટ બેસાડવા માટે ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ મહાવિતરણને થયો છે, પણ વીજળીના ગળતરમાં થયેલા ઘટાડાને જોતાં હવે થાણે શહેરમાં આવાં ઇક્વિપમેન્ટ બેસાડવાનો નિર્ણય મહાવિતરણે લીધો છે. નવેમ્બરના અંત સુધીમાં અહીં કૅપેસિટર બૅક બેસાડવામાં આવશે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK