લાઇફ કા ફન્ડા : ચાર સંજોગ
એક દિવસ એક રાજાએ પોતાના ચતુર મંત્રીને કહ્યું, ‘મારા મનમાં એક પહેલી છે. હું તમને ચાર સંજોગ કહું છું તેનો જવાબમાં કઈ શક્યતાઓ હોય શકે તે સમજાવો.
પ્રથમ સંજોગ છે - જે અહીં છે પણ ત્યાં નથી.
દ્વિતીય સંજોગ છે - જે ત્યાં છે પણ
અહીં નથી.
તૃતીય સંજોગ છે - જે અહીં પણ નથી અને ત્યાં પણ નથી.
ચતુર્થ સંજોગ છે - જે અહીં પણ છે અને ત્યાં પણ છે.ચતુર મંત્રીએ કહ્યું, ‘રાજન, તમારી આ પહેલી બહુ અઘરી છે મને ચાર દિવસનો સમય આપો.’ રાજાએ કહ્યું, ‘ઠીક છે.’
મંત્રી ચાર દિવસ પછી દરબારમાં આવ્યા તેમની સાથે ચાર વ્યક્તિઓ હતી.રાજાએ કહ્યું, ‘ચતુર મંત્રી જવાબ લઈને આવવાની બદલે ચાર વ્યક્તિ લઈને કેમ આવ્યા છો?’ મંત્રી નમ્રતા સાથે કહ્યું, ‘રાજાજી, આ ચાર વ્યક્તિ જ મારા ચાર જવાબ છે.’
રાજાએ પૂછ્યું, ‘કઈ રીતે સમજાવો.’
મંત્રીએ કહ્યું, ‘રાજન, આપણા ધર્મગ્રંથો પ્રમાણે માણસ જેવા કર્મો કરે સારા કે ખરાબ તે પ્રમાણે તેને ફળ મળે છે .પાપ અને પુણ્ય નક્કી થાય છે અને તે આધારે તેને મૃત્યુ પછી સ્વર્ગ કે નર્ક પ્રાપ્ત થાય છે,સ્વર્ગ અપાર સુખ અને નર્ક અપાર દુઃખના પ્રતિક છે; બરાબર.’ રાજાએ હકારમાં ડોકું ધુણાવ્યું.
મંત્રીએ પહેલી વ્યક્તિની પાસે જઈ કહ્યું, ‘મહારાજ, આ વ્યક્તિ એક ભ્રષ્ઠાચારી અમલદાર છે.લાંચ લઈને અત્યારે તેની પાસે અપાર સંપત્તિ છે તે અહીં પૃથ્વી પર સુખી અને સંપન્ન છે પણ તેની જગ્યા મૃત્યુ બાદ સ્વર્ગમાં નથી.એટલે તમે કહેલા પહેલા સંજોગ અનુસાર તે અહીં પૃથ્વી તેના જીવનમાં સુખ છે પણ ત્યાં સ્વર્ગમાં નથી.’
હવે મંત્રી બીજી વ્યક્તિ પાસે ગયા અને કહ્યું, ‘રાજાજી, આ વ્યક્તિ સમાન્ય સદગૃહસ્થ છે.એકદમ ઈમાનદારીનું જીવન જીવે છે. બે ટંકનું ભોજન રળી સ્વાભિમાનથી જીવે છે.તે અહી પૃથ્વી પર કદાચ સુખી સંપન્ન નથી.પણ મૃત્યુ પછી ચોક્કસ તેને સ્વર્ગના સુખો મળશે.એટલે તમારા બીજા સંજોગ અનુસાર તેના જીવનમાં અત્યારે અહીં સુખ નથી પણ ત્યાં સ્વર્ગમાં સુખ જ સુખ છે.’
મંત્રી ત્રીજી વ્યક્તિ પાસે ગયા અને બોલ્યા, ‘રાજાજી, આ વ્યક્તિ એક ભિખારી છે તે બીજા પર આશ્રિત છે.તે અહીં પણ સુખી નથી અને ત્યાં પણ સ્વર્ગમાં તેને સ્થાન મળશે નહી એટલે સ્વર્ગના સુખો પણ તેને નહિ મળે.એટલે તમારા ત્રીજા સંજોગ પ્રમાણે તેના જીવનમાં અહીં પણ સુખ નથી અને ત્યાં પણ નહિ હોય.’
મંત્રી ચોથી વ્યક્તિ પાસે ગયા અને બોલ્યા, ‘મહારાજ, આ દાનવીર શેઠ છે તેઓ તેમને પ્રાપ્ત લક્ષ્મીનો સદુપયોગ કરી સમાજમાં અન્યની ભલાઈ કરે છે તેઓ અત્યારે અહીં પૃથ્વી પર પણ સુખી સંપન્ન છે અને ઘણા પુણ્ય બળને આધારે તેઓ સ્વર્ગના સુખો મેળવી ત્યાં પણ સુખ મેળવશે.’ રાજા મંત્રીનો જવાબ સાંભળી ખુશ થઇ ગયા.