અસફળતા આખરી પડાવ નથી (લાઇફ કા ફન્ડા)
લાઇફ કા ફન્ડા
દસમા ધોરણનું રિઝલ્ટ આવવાનું હતું. ટીચર નેહામૅમ ચિંતામાં હતાં. તેમને ચિંતા સતાવતી હતી કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તેના કોઈ સ્ટુડન્ટ્સ ફેલ થવાને લીધે કે ઓછા માર્ક આવવાને લીધે ગયા વર્ષની જેમ ખોટું પગલું લઈ આત્મહત્યા ન કરી લે. ગયા વર્ષે તેમની સ્કૂલની વૉલીબૉલ ટીમના કૅપ્ટન ચિરાગે બહુ ઓછા માર્ક આવવાને લીધે આત્મહત્યા કરી લીધી હતી અને એક હોશિયાર છોકરી રીમાએ એક વિષયમાં ઓછા માર્ક આવવાને લીધે ઝેર પી લીધું હતું, પણ તેને ડૉક્ટરોએ બચાવી લીધી હતી.
ADVERTISEMENT
આ વર્ષે આવું કંઈ ન થાય એ માટે કટિબદ્ધ નેહાટીચરે કંઈક વિચારી રાખ્યું હતું. જેવું સાંજે ચાર વાગ્યે રિઝલ્ટ ઑનલાઇન થયું એટલે ટીચરે સૌથી પહેલાં નાપાસ થયેલા અને ઓછા માર્ક મેળવનારા વિદ્યાર્થીઓનાં નામ જોયાં અને જે પાંચ બાળકોનાં રિઝલ્ટ ખરાબ હતાં તેમના ઘરે ફોન કરીને કહ્યું, રિઝલ્ટમાં કોઈ ભૂલ છે, સ્કૂલમાં મેસેજ આવ્યો છે. હમણાં જ સ્કૂલમાં આવી ઍસેમ્બલી હૉલમાં મળો. પછી બાકી બધા સફળ વિદ્યાર્થીઓને ટીચરે મેસેજ કરીને સ્કૂલમાં બોલાવ્યા. કલાક પછી સ્કૂલના ઍસેમ્બલી હૉલમાં શાળાના ૬૫ વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા. થોડી વારમાં નેહામૅમ અને શાળાના પ્રિન્સિપાલ અને બીજા ટીચર ઍસેમ્બલી હૉલમાં આવ્યા. ‘ગુડ ઇવનિંગ ટીચર’નો એક અવાજ ઊભર્યો. આ અવાજમાં બેહદ ખુશ... ખુશ... ઉદાસ... દુખી જેવા મિશ્ર ભાવવાળા અવાજ સામેલ હતા.
આ પણ વાંચો : ત્રણ જણ જુએ છે (લાઇફ કા ફન્ડા)
નેહામૅમે માઇક સંભાળ્યું. ડિયર સ્ટુડન્ટ્સ. રિઝલ્ટમાં કોઈ જ ભૂલ નથી, સૉરી તમને આવો મેસેજ કર્યો. મારે સૌથી પહેલાં વાત કરવી છે મારા એવા વિદ્યાર્થીઓની જે હવે પછીની પરીક્ષામાં પાસ થવાના છે. જે પાંચ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા તેઓ નિરાશ અને રડમસ ચહેરે સ્ટેજ પર આવ્યા. સૌથી પહેલાં નેહામૅમે તેમને પ્રેમથી ગળે વળગાડ્યા અને પછી પ્રૉમિસ કરવા કહ્યું કે તેઓ હિંમત રાખશે અને ઘરેથી ભાગી જવું કે આત્મહત્યા કરવા જેવું કોઈ ખોટું પગલું નહીં ભરે અને પછી તેમણે એક-એક ચૉકલેટ ગિફ્ટ આપીને કહ્યું, ‘તમે હિંમતવાન છો. આ એક પરીક્ષામાં નાપાસ ભલે થયા, પણ આ એક હાર તમને તોડી નહીં શકે. હવે પછીનું એક વર્ષ વધારે મહેનત કરી તમારે તમારી જાતને સાબિત કરવાની છે. વધુ મહેનત કરવાની છે. જે ભૂલ આ વર્ષે થઈ એ પાછી કરવાની નથી. કોઈ ખોટું પગલું ભરવાનું નથી. તમે બધા તમારા ઘરના અણમોલ હીરા છો. તમારાં માતાપિતા માટે તમારી સફળતા અને માર્ક કરતાં વધારે તમે જરૂરી છો. અને આજે રિઝલ્ટ આવ્યું છે અને પરીક્ષામાં અસફળ રહેનાર બીજાં બાળકો હતાશ થઈને ખોટું પગલું ભરશે, આત્મહત્યા કરશે ત્યારે તમે નાપાસ થયા એ અસફળતા સ્વીકારી સમાજમાં બધાને એક સંદેશ આપજો કે તમે વિનર છો. હવે પછી આવતા વર્ષે લેવાનારી પરીક્ષામાં સફળ થઈને તમે વિનર બનજો. નાકામિયાબી અંતિમ પડાવ નથી, એની આગળ પણ જીત અને જીવન છે. નેહામૅમે બાળકોને સાચો રસ્તો બતાવ્યો.