ચાણક્યની વાત - (લાઇફ કા ફન્ડા)
ચાણક્ય
‘એક છોકરાએ પોતાને ગમતી છોકરી પ્રત્યેના પ્રેમની વાત બીજા બે દોસ્તને કરી. વાત બે દિવસમાં બધે ફેલાઈ ગઈ અને પેલી છોકરીનું નામ ખરાબ થયું.
તેણે આવીને પ્રેમ કરનાર છોકરાને લાફો માર્યો.’
ADVERTISEMENT
‘એક પત્નીએ પોતાનો પતિ કેટલું ઓછું કમાય છે, પોતે થોડું કમાય છે અને બન્ને મહેનત કરી ઘરખર્ચ માંડ-માંડ પૂરો કરીએની વાત પોતાની એક પડોશણને કરી. વાત બધે ફેલાઈ ગઈ. મહેનત કરી સ્વમાનભેર પોતાનું ઘર ચલાવતું દંપતી ખોટી રીતે બિચારા અને ગરીબ તરીકે હાંસીને પાત્ર બન્યું.’
‘એક રાજાએ પોતાના દુશ્મન રાજાને સીધોદોર કરવા હવે પોતે શું કરશે અને કયાં નવાં શસ્ત્રો ખરીદશે એની વાત પોતાના મિત્ર રાજાને કરી અને મિત્ર રાજાએ થોડા દિવસ પછી દુશ્મન રાજા સાથે હાથ મિલાવી બધી જ માહિતી ત્યાં જણાવી દીધી.’
ઉપરના ત્રણે પ્રસંગ જુદા છે અને પરિણામ વિપરીત છે. ભલે આપણે ઘણી વાર લાગણીમાં, પ્રેમમાં, ભરોસામાં, ઉત્સાહમાં, મિત્રતાના કેફમાં, કોઈ પણ લાગણીના પ્રવાહમાં તણાઈને મનની વાત સામા માણસને જણાવીએ છીએ પણ ક્યારેક પરિણામ ખરાબ આવે છે. અહીં ચાણક્ય નીતિમાં ગુરુ ચાણક્યએ જે સમજાવ્યું છે એ આજે પણ એટલું જ જાણવા જેવું અને અનુસરવા જેવું છે.
ચાણક્ય નીતિમાં ગુરુ ચાણક્ય જણાવે છે કે ‘ત્રણ વસ્તુ વિશે હંમેશાં ગોપનીયતા જાળવી રાખવી અને એના વિશે કોઈને કઈ જણાવવું નહીં.’
એક : તમારો પ્રેમ, તમારા પ્રિયતમ કે પ્રિયતમા વિશે, તમારા સ્નેહજીવન વિશે અન્ય કોઈ સાથે કોઈ વાત કરવી નહીં. પ્રેમ એક ખૂબ જ અંગત બાબત છે. એ માત્ર બે જણે માણવી, અન્ય કોઈને કઈ કહેવું નહીં.
બે : તમારી આવક, તમારી આર્થિક પરિસ્થિતિ અંગે કોઈને કઈ જણાવવું નહીં. આવક વધુ હોય કે ઓછી, અન્યને જણાવવાથી એમાં કોઈ ફરક પડવાનો નથી. આપણી જેટલી આવક હોય એમાં ખર્ચ કરવો. કોઈને કઈ કહેવું નહીં. હાથ લાંબો કરવો નહીં, કોઈ મદદ નહીં કરે. માત્ર બિચારા કહી હાંસી ઉડાવશે. આવક વધુ હશે અને એ બધાને જણાવશો તો લોકો ઈર્ષ્યા કરશે અને ઘમંડી કહી વગોવશે.
ત્રણ : તમારું આગળનું પગલું, જીવનમાં તમે કોઈ પણ સ્થિતિ અને સંજોગોમાં હો આગળ તમે શું કરવા માગો છો, શું વિચારો છો એ વિશે કોઈને કહેવું નહીં. એમાં નુકસાન થવાની શક્યતા છે. તમારી વાત દુશ્મનને ખબર પડી શકે છે. તમે જે ધાર્યું હોય એમ ન થાય તો જગ હસાઈ થઈ શકે છે.’
આ પણ વાંચો : સાંભળો ઈશ્વરનો અવાજ - (લાઇફ કા ફન્ડા)
આ ત્રણ બાબતો વિશે કોઈને કઈ જણાવવું નહીં, એ હંમેશાં યાદ રાખવું.