હૉસ્ટેલ છોડી, વિરોધ નહીં
એ દિવસે ફક્ત દિલ્હીના ઈશાન ભાગના સીલમપુર વિસ્તારમાં પોલીસનાં વાહનોને બાળવામાં આવ્યાં નહોતાં, પરંતુ સમગ્ર ભારતના રાજકીય મંચ પરથી જામિયા મિલિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામે દિલ્હી પોલીસની આક્રમકતાનો વિરોધ કરતાં આગઝરતાં ભાષણો પણ ભડક્યાં હતાં. એ બન્ને ઘટનાઓને પગલે નાગરિકતા કાયદા વિરુદ્ધ આંદોલનો ભડક્યાં હતાં.
રવિવારે સાંજે છ વાગ્યા પછી જામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર અથડામણો પછી હિંસા દિલ્હીના દક્ષિણ ભાગ તરફ ફેલાઈ હતી. ત્યાં પથ્થરમારા ઉપરાંત બસો બાળવામાં આવી હતી. જોકે પોલીસે જ બસોને આગ ચાંપી હોવાનો આરોપ મૂકવામાં આવે છે. વિદ્યાર્થીઓને સલામતી માટે કૅમ્પસમાંથી બહાર નીકળી જવાની સલાહ આપવામાં આવી હતી. દિલ્હીના રહેવાસી ન હોય એવા વિદ્યાર્થીઓ તેમના મિત્રોના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા. પોલીસ જવાનોએ વાઇસ ચાન્સેલરની પરવાનગી વગર કૅમ્પસમાં ઘૂસી જઈને વિદ્યાર્થીઓને ઘેરવા તથા યુનિવર્સિટીની સંપત્તિની તોડફોડ કરવા માંડી હોવાનો આરોપ કેટલાક વિદ્યાર્થીઓ મૂકે છે.
યુનિવર્સિટીના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રોહમા જાવેદ મંગળવારે વિરોધ-પ્રદર્શનમાં સામેલ હતા. ડૉ.રોહમા જાવેદે જણાવ્યું હતું કે ‘પોલીસે જ હિંસા કરી હતી. દેખાવકારોએ કે વિદ્યાર્થીઓએ કઈં કર્યું નથી. અમે બધા શાંત અને અહિંસક રહ્યા છીએ. અમે વિદ્યાર્થીઓ પર આચરવામાં આવેલી હિંસાની તપાસની માગણી કરીએ છીએ.’