કાપડક્ષેત્રના અગ્રણી વેપારી - જૈન સમાજના આગેવાન સુરેન્દ્ર સવાઈનું નિધન
સુરેન્દ્ર સવાઇ
કાપડના અગ્રણી વેપારી, બિલ્ડર, અગ્રણી સામાજિક કાર્યકર અને જૈન આગેવાન સુરેન્દ્ર તુલસીદાસ સવાઈનું મંગળવારે રાતના ૧૧ વાગે અવસાન થયું હતું. તેમની ઉંમર ૮૧ વર્ષની હતી.
તેઓ મુંબઈ ટેક્સટાઈલ મર્ચન્ટસ મહાજન અને ફેડરશન ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર (ફામ)ના એમિરેટ્સ ચૅરમૅન હતા. તેઓ મુંબઈ ટેકસટાઈલ મર્ચન્ટસ મહાજનના ૩૦ વર્ષ સુધી પ્રમુખ રહ્યા હતા અને કાપડ બજારોની જોઈન્ટ ઍકશન કમિટી ઑફ ટેકસટાઈલ ટ્રેડર્સ અસોસિએશનના ચૅરમૅન હતા. ન્યુ પીસગુડસ બજાર કંપની લિ.ના ડાયરેકટર હતા. ધી કાલુપુર કમર્શિયલ કો-ઓપ બૅન્ક લિ.ના ડાયરેક્ટર હતા. મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા.
ગોડીજી જૈન ટેમ્પલ ટ્રસ્ટ-મુંબઈના ટ્રસ્ટી, મોતીશા જૈન ચૅરિટેબલ ટ્રસ્ટ-ભાયખલાના ટ્રસ્ટી અને માંગરોળ એન્ડ ચોરવાડ જૈન ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને શ્રીમદ્ બુદ્ધિસાગર મૂર્તિપૂજક ગુરુકુળ જૈન શ્વેતાંબર સંઘના ટ્રસ્ટી હતા.તેમના પરિવારમાં પુત્ર અજય, પુત્રવધૂ સોનલ અને પુત્રીઓ સ્મિતા તેમ જ જલ્પાનો સમાવેશ થાય છે.
આજના કોરોના કાળમાં તેમની પ્રાર્થનાસભા રાખવામાં આવી નથી, પણ ઝૂમ મીટિંગ રખાઈ હતી. તેમના માનમાં મૂળજી જેઠા ક્લોથ માર્કેટ બુધવારે બપોરે ૩-૦૦ વાગ્યા પછી બંધ રહી હતી.