સરદારની પ્રતિમાને નેતા વિપક્ષે ભંગારનો ભુક્કો કહેતા વિવાદ
નેતા વિપક્ષની ટિપ્પણીથી વિવાદ
નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ વિધાનસભા ગૃહમાં આપેલા એક નિવેદનના કારણે વિવાદ થઈ રહ્યો છે. વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું કે, 'લોખંડનો ભંગાર ભેગો કરીને તેમાંથી સરદારની પ્રતિમા બનાવવામાં આવી છે.' ધાનાણીના આ નિવેદનને લઈને ગૃહમાં હંગામો થયો અને ગૃહની કાર્યવાહી મુલત્વી રાખવામાં આવી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના ખર્ચ વિશે માહિતી આપી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને પ્રતાપ દૂધાતે સરકાર વિરોધી ટિપ્પણી કરી હતી. જે બાદ પક્ષના સભ્યોનો સાથ આપતા સમયે નેતા વિપક્ષે એક ટિપ્પણી કરી કે, 'સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવવા ભાજપે ગામડે ગામડેથી ભંગાર ઉઘરાવ્યો હતો એ ગોડાઉનમાં પડ્યો છે. સ્ટેચ્યુ ચાઇનાએ બનાવ્યું છે. પ્રતિમા બનાવવા ચીનનો સહારો લેવો પડ્યો છે. ભાજપે માફી મંગાવી જોઈએ ભાજપ અને મોદીએ સરદારનું અપમાન કર્યુ છે.' આ નિવેદન બાદ હંગામો મચી ગયો અને ભાજપના ધારાસભ્યોએ આ નિવેદન પર માફી માંગવાની માંગ કરી. જે બાદ હંગામો થતા ગૃહ મુલત્વી રાખવામાં આવ્યું.
આ પણ વાંચોઃ આતંકવાદીઓના નિશાન પર સ્ટૅચ્યુ ઑફ યુનિટી : IB ચેતવણી
ADVERTISEMENT
ભાજપ-કોંગ્રેસ આમને સામને
ધાનાણીના નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે નેતા વિપક્ષનું આ નિવેદન યોગ્ય નહોતું તેમણે માફી માંગવી જોઈએ. જો કે ધાનાણીનો દાવો છે કે તેઓ સરદાર સાહેબનું અપમાન થાય તેવું કશું બોલ્યા નથી.