મુખ્ય પ્રધાન રૂપાણીના હસ્તે ફ્લાવર શો-૨૦૨૦નો પ્રારંભ
સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટરમાં શરૂ થયેલા ફ્લાવર-શોમાં મહાત્મા ગાંધી દાંડીકૂચની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઈવેન્ટ સેન્ટર પર ૮મા ફ્લાવર શોનો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો. મુખ્ય પ્રધાનના હસ્તે આ ફ્લાવર શો ૨૦૨૦નું ઉદ્ઘાટન થયા બાદ શહેરના આકર્ષણસમા શોને જોવા માટે લોકોનાં ટોળે ટોળાં ઊમટી પડ્યા હતા. આ વર્ષે આયોજિત થનારા ફલાવર-શોની વિશેષતાઓની વાત કરીએ તો આ વર્ષે ગાંધીજીના જીવનચરિત્ર પર આ વખતનો ફ્લાવર-શો આયોજિત કરવામાં આવ્યો છે.
આ ફ્લાવર-શોમાં દેશ-વિદેશના ૧૦ લાખ જેટલા રંગબેરંગી ફૂલોની વેરાઈટી રાખવામાં આવી છે. આ પ્રસંગે અમદાવાદના મેયર બિજલબહેન પટેલ સહિત કૉર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. સીએમ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ફ્લાવર-શોમાં અલગ-અલગ થીમ તૈયાર કરવામાં આવી છે. જેમા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી, સ્વચ્છતા, પર્યાવરણના કૉન્સેપ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજી તરફ પ્રવેશ ફી રૂા. ૧૦ હતી તે વધારીને રૂા. ૨૦ કરવામાં આવી છે. તેમ જ શનિ- રવિની રજામાં ટિકિટના દર રૂા. ૫૦ કરી નખાયા છે. ફ્લાવર-શોમાં ૪૦ ફૂડકોટ, ૩૦ દવા, બિયારણ, ખાતર, બગીચાનાં સાધનોની દુકાનો અને ૮ નર્સરીઓના સ્ટોલ્સ હશે. પ્રવેશદ્વારમાં બન્ને તરફ મોરના બે સ્કલ્પચર ‘વેલકમ’ કરશે. ૧૫૦ ફુટ જેટલી લાંબી ગ્રીનવૉલ પણ ઊભી કરાઈ છે.
ફ્લાવર-શોમાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી, મચ્છર, ફાયરબ્રિગેડ વગેરે જેવી થીમ રાખવામાં આવી છે. મ્યુનિસિપલ કૉર્પોરેશન ઇચ્છે છે કે ફ્લાવર-શો જોઈને હરિજનો સ્વચ્છતા, પર્યાવરણ, ગ્રીન અૅન્ડ ક્લિનનો કૉન્સેપ્ટ અપનાવે છે અને શહેર કલરફુલ બનાવે. ફ્લાવર-શોમાં વિશાળ પ્લાન્ટ ઉપરાંત ૭૫ હજારની કિંમતનો ફાયકસ પોપ્યુલરી પ્રકારનો છોડ પણ છે.