15 દિવસ પછી શ્રીનગરમાંથી કાંટાળા તાર હટ્યા અને લાલચોક ખુલ્લો મુકાયો
લાલચોક ખુલ્લો મુકાયો
કાશ્મીરની પરિસ્થિતિ દિવસે-દિવસે સુધરીને સામાન્ય થઈ રહી છે જેનું ઉદાહરણ આજે શ્રીનગરનું હૃદય તરીકે ઓળખાતા લાલચોકમાં જોવા મળ્યું હતું. કાશ્મીરમાંથી કલમ-૩૭૦ નાબૂદ કર્યા બાદ આજે શ્રીનગરમાંથી કાંટાળા તાર હટાવી દેવાયા છે. ૫ ઑગસ્ટથી લાલચોકમાં બેરિકેડિંગ અને ફેન્સિંગ લગાડવામાં આવી હતી. આજે લગભગ ૧૫ દિવસ પછી એના બન્ને તરફના રસ્તાઓ ખોલી નાખવામાં આવ્યા છે.
લાલચોકમાંથી બધા જ કાંટાળા તાર હટાવી દેવામાં આવ્યા છે અને એ વિસ્તારમાં ટ્રાફિક પણ સામાન્ય દિવસોમાં હોય એવો જોવા મળ્યો છે. ઘાટીમાં આજથી માધ્યમિક સ્કૂલો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. આ અગાઉ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ઘાટીમાં કાયદો અને વ્યવસ્થા ભંગ કરવાની એક પણ ગંભીર ઘટના હજી સુધી બની નથી અને અહીંનું જનજીવન ધીરે-ધીરે સામાન્ય થઈ રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : વિંગ કમાન્ડર અભિનંદનને પકડનાર પાક. કમાન્ડોને કરાયા ઠાર
જમ્મુ-કાશ્મીરના સૂચના તેમ જ જનસંપર્ક વિભાગના નિર્દેશક સૈયદ સહરીશ અસગરે પત્રકાર-પરિષદમાં જણાવ્યું હતું કે જમ્મુ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા ભંગ કરવાની એક પણ ઘટના નોંધાઈ નથી. કાશ્મીરમાં પણ લગાવેલા પ્રતિબંધોને હટાવી દઈને સ્કૂલો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે. રવિવારે કેટલાંક અસામાજિક તત્વોએ અફવા ફેલાવી હતી જેના કારણે શિક્ષકો પોતાના કામ પર પહોંચી રહ્યા છે, પરંતુ હજી પણ વિદ્યાર્થીઓની સંખ્યા પહેલાં જેટલી નથી જોવા મળી.