કુવૈતની ભારત સહિત દેશોના નાગરિકોના પ્રવેશ પર બંધી
કુવૈત સિટી
કુવૈતે આકરાં પગલાં ભરતાં ભારતીય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગુરુવારે સવારે કુવૈત સરકારે જાહેરાત કરી હતી કે ૧ ઑગસ્ટથી ભારત, પાકિસ્તાન, નેપાલ, બંગલા દેશ, શ્રીલંકા, ઈરાન અને ફિલિપિન્સથી આવનારા લોકોને બાદ કરતાં અન્ય દેશોમાં રહેતા કુવૈતી નાગરિક અને પ્રવાસીઓ દેશમાં અવર-જવર કરી શકે છે.
ભારતીય વિદેશ મંત્રાલયને ભારતીય નાગરિકો પર લાદવામાં આવેલા આ પ્રતિબંધ વિશેની માહિતી છે અને તેઓ પ્રશાસનિક સ્તરે આ મામલાને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અરબ મીડિયા સૂત્રોએ જણાવ્યા અનુસાર કમ્યુનિટી સપોર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજપાલ ત્યાગીએ જણાવ્યું કે આ નિર્ણયથી જેઓ ભારત જઈને ત્યાં કોરોનાની મહામારીને કારણે ફસાઈ ગયા છે એવા હજારો લોકોની નોકરીઓ છીનવાઈ જશે.