અયોધ્યામાં કુબેરેશ્વર શિવલિંગનો ૨૮ વર્ષ પછી રુદ્રાભિષેક કરાયો
પ્રતીકાત્મક તસવીર
ભગવાન શ્રીરામનું મંદિર બન્યા પહેલાં બુધવારે જન્મભૂમિ પરિસરમાં કુબેર ટીલા પર ૨૮ વર્ષ પછી કુબેરેશ્વર શિવલિંગનો રુદ્રાભિષેક કરાયો. અભિષેકમાં મણીરામ છાવણીના મહંત ઉત્તરાધિકારી કમલ નયન દાસ કુબેર ટીલા હાજર રહ્યા હતા. બે કલાક અનુષ્ઠાન ચાલ્યું હતું. કુબેર ટીલા રામજન્મભૂમિ પરિસરમાં છે. આ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગના સંરક્ષણમાં છે. મહંત કમલ નયને કહ્યું કે રુદ્રાભિષેક મંદિર નિર્માણમાં આવનાર તમામ અવરોધોને દૂર કરવા માટે અને કોરોના મહામારીને ખતમ કરવા માટે કરાયો છે.
મહંત કમલ નયન દાસે કહ્યું કે રામમંદિરના નિર્માણની તૈયારી રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ કરી રહ્યું છે. જમીનને સમથળ કરાઈ છે. મંદિર નિર્માણનું કામ ટૂંક સમયમાં શરૂ થાય એ માટે સંત સમાજ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. મંદિર નિર્માણ શરૂ થતાં પહેલાં ગર્ભગૃહ સ્થળે યોજાનાર ભૂમિપૂજન કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. આ માટે તેમને પહેલાં જ આમંત્રણ અપાયું હતું, પરંતુ કોરોના સંકટના કારણે કાર્યક્રમ થઈ શક્યો નહીં. હવે તેઓ વડા પ્રધાનને રૂબરૂ મળીને ભૂમિપૂજન માટે આમંત્રણ આપશે.