રેલવે-સ્ટેશન પર થયેલા બૉમ્બ-હુમલામાં બંગાળના પ્રધાન ઘાયલ
મમતા બૅનરજી
પશ્ચિમ બંગાળના પ્રધાન જાકિર હોસેન પર બુધવારે રાતે મુરીદાબાદ જિલ્લાના નિમટીટી સ્ટેશન પર બૉમ્બ વડે હુમલો થયો હતો. આ બૉમ્બ-અટૅકને ‘કાવતરું’ ગણાવતાં રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ જણાવ્યું હતું કે કેટલાક લોકો અન્ય પક્ષમાં જોડાવા માટે તેમના પર દબાણ કરતા હતા. ગયા બુધવારે તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા અને રાજ્યના પ્રધાન જાકિર હોસેન પર બૉમ્બ વડે હુમલો કરાયા બાદ તેમને ઈજા થતાં એસએસકેએમ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હૉસ્પિટલમાં તેમની તબિયતની ખબર પૂછવા માટેની મુલાકાત બાદ મમતા બૅનરજીએ જણાવ્યું હતું કે ‘જાકિર હોસેન પર પૂર્વયોજિત હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ કહ્યું કે એ બૉમ્બ રિમોટ કન્ટ્રોલ વડે ફોડવામાં આવ્યો હતો. એ વિસ્ફોટ પૂર્વયોજિત હતો. અમુક લોકો છેલ્લા કેટલાક મહિનાથી જાકિરને ચોક્કસ પક્ષમાં જોડાવાનું દબાણ કરતા હતા. હાલમાં તપાસ ચાલતી હોવાથી હું વધારે કાંઈ કહેવાની નથી.’