સવાયા કચ્છી હિન્દવાપીર રામદેવપીર
રામદેવપીર મંદિર
મૂળ રાજસ્થાનના, પરંતુ કચ્છની અઢારે આલમ જેને નમે છે એ રામદેવપીરની વાત અહીં મૂકવી છે. જાણીતા કચ્છી પ્રવક્તા એકલવીરના કહેવા પ્રમાણે કચ્છનાં ૯૯૨ ગામોમાં ૧૨૦ જેટલી જ્ઞાતિઓ છે. એમાંથી મોટા ભાગની જ્ઞાતિઓ આ હિન્દવાપીરના પરચાથી પ્રેરિત થઈ તેમને નમે છે. કચ્છનાં ૯૯૨ ગામમાં અંદાજે ૩૦૦ જેટલાં રામદેવપીરનાં મંદિરો છે. મહિનાની સુદ બીજના મુંબઈનાં અસંખ્ય કચ્છી ઘરોમાં રામદેવપીરની પહેડી કરાય છે સાથે-સાથે તેમના બોધ પરથી પ્રેરિત થઈ માનવસેવાનાં કાર્યો થાય છે.
કચ્છના બેરાજા ગામના રામદેવપીરના જૈન સાધક સ્વ. લક્ષ્મીચંદબાપુએ સુરત પાસે આશ્રમ શરૂ કર્યો. આ આશ્રમમાં રામદેવપીરની સાધનાની સાથે હજારો આદિવાસીઓને દારૂ, જુગાર, માંસ અને વ્યસનોની લત છોડાવી. આદિવાસીઓને નવકારમંત્ર, માંગલિક ઇત્યાદિના પાઠ શીખવાડી સ્વ. લક્ષ્મીચંદબાપુએ તેમને સમાજના સામાન્ય પ્રવાહમાં લાવી ભણતા કરી દીધા છે.
ADVERTISEMENT
દેશનાં વિવિધ રાજ્યોમાંથી ટ્રેનમાં ચડી અસ્થિર મગજની વ્યક્તિઓ ભુજ આવી ચડે છે અને ભુજના રસ્તાઓ પર દારુણ પરિસ્થિતિમાં રઝળતી રહે છે. રામદેવપીરની પ્રેરણાથી તેમના પરમ ભક્ત ટોડા ગામના મહેન્દ્રભાઈ સંઘોઈએ સબળ આર્થિક અનુદાન આપી ભુજમાં ‘રામદેવ સેવા આશ્રમ’ શરૂ કરાવ્યો. સેવાધારી પ્રબોધ મુનવર અને તેમની સંસ્થાના કાર્યકરો પાગલોને આશ્રમમાં લઈ જઈ તેમને નવડાવી, ધોવડાવી તબીબી સારવાર કરી સાજા કરે છે અને તેમના મૂળ વતનમાં પાછા મોકલવા ભગીરથ કાર્ય કરે છે. ભુજથી દૂર વસ્તા તેમના સ્વજનોનો મેળાપ કરાવે છે. વર્ષેદહાડે ૨૫૦થી ૩૦૦ લોકોને વિખૂટા પડી ગયેલા સ્વજનોને મેળાપ કરાવવા રામદેવપીર પ્રેરણારૂપ બન્યા છે. રામદેવપીર ભક્ત મહેન્દ્રભાઈ સંઘોઈ કચ્છના પ્રાગપુર ગામ પાસે એશિયાનું સૌથી મોટું ઍનિમલ વેલ્ફેર સેન્ટર ઍન્કરવાલા અહિંસા ધામ બનાવ્યું છે. આ પાંજરાપોળમાં અત્યારે અંદાજે ૫૦૦૦ પશુઓ રહે છે. આ પશુઓ માટે પાંજરાપોળમાં ૨૦૦ જેટલા આઇસીયુ બેડ છે. પાંજરાપોળની નજીક બનાવેલા નંદી સરોવર વિસ્તારમાં પાંચ લાખ વૃક્ષોના વાવેતરનું આયોજન કર્યું છે. મહેન્દ્રભાઈનો આ અનોખો વિચાર કચ્છનાં દરેક ગામ અપનાવે તો કચ્છ લીલુંછમ થઈ જાય!
આજથી આશરે ૯૫ વર્ષ પહેલાં કચ્છના નવીનાર ગામના પાનબાઈ તેજસી વોરા મુંબઈના લાલબાગ વિસ્તારમાં રહેતાં હતાં. ઉપરાઉપરી ત્રણ દીકરીઓ પછી દીકરાની ઝંખનામાં પાનબાઈએ રામદેવપીરની માનતા માની કે હવે જો દીકરો જન્મશે તો રામદેવપીરનો દાની બનાવીશ અને ખરેખર જેઠુ નામનો દીકરો તેમના કૂખે જન્મ્યો. દીકરો રામદેવપીરનો દાની હોવાથી પાછળથી તેમનું નામ રામજી રાખવામાં આવ્યું. રામજીભાઈ વોરા રામાપીરના પ્રખર ભક્ત હતા. પત્ની કુંવરબાઈની મદદથી અસંખ્ય સેવાકાર્યો આરંભ્યાં. એ સમયે પાણી બાટલીઓમાં વેચાતું ન હતું એટલે પરેલ, લાલબાગ, ભાયખલા ઇત્યાદિ વિસ્તારોમાંથી પસાર થતા વટેમાર્ગુઓ માટે પાણીની ટાંકીઓ ગોઠવી. પ્રખ્યાત ગણપતિ લાલબાગચા રાજાનાં દર્શને દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે ૨૪ કલાક પાણી પીવડાવવાની સેવા જાતે કરતા. તેમની સ્મૃતિમાં આજે પણ લાલવાડી દેરાસરમાં કડુકડિયાતુ નામના ઔષધનું વિતરણ એતેમની દીકરી ડૉ. અરુણા વોરા કરે છે. સ્વ. રામજીભાઈ ગરીબ દરદીઓ માટે જાતજાતનાં ઔષધો તૈયાર કરી વિનામૂલ્ય વિતરણ કરતાં. દાણાના આ સામાન્ય દુકાનદાર દર સુદ બીજે રામાપીરનાં ભજનનું આયોજન કરતા એમાં જમા થતી રકમથી જીવદયાનાં કાર્યો કરતાં. તેમના સેવાભાવના સંસ્કારો તેમની મોટી દીકરી દીનાબેન ધીરજ મારુમાં પણ ઊતર્યા છે. મૅનેજમેન્ટનો અદ્ભુત કસબ ધરાવતાં દીનાબેન સંભવિત પ્રથમ એવી નારી છે જે મહાજન પરંપરાની સંસ્થા રતાડિયા ગણેશવાલા મહાજનના મહામંત્રી છે. તેઓ દર મહિને સ્ત્રી ઉત્કર્ષના અવનવા કાર્યક્રમો ગોઠવે છે. રામદેવપીરના દાની હોવાના પુરાવારૂપે જ્યારે ૮૬ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે રામજીભાઈનું અવસાન થયું ત્યારે તેમના માથાનો એક પણ વાળ સફેદ નહોતો થયો અને ચહેરા પર સંતોષની અજબ રેખાઓ ખેંચાયેલી હતી.
બારબીજના ધણી રામાપીરના પરમ આરાધક શાંતિભાઈ કેનિયાના મલાડમાં આવેલા તેમના મંદિરમાં અસંખ્ય ભક્તો માર્ગદર્શન લેવા આવે છે. ૭૫ વર્ષના આ અલગારી આદમી આજે પણ રણુજા જઈ કોઢિયાઓની સેવા કરે છે. તો પનવેલના ડોમાળા ગામમાં આવેલા ત્રિવેણી ધામમાં કરમશીભાઈ અને જયંતીભાઈ દૂધવાળા દર બીજે રામાપીર અને નાગદેવની બેઠક યોજે છે જેમાં મુંબઈથી અસંખ્ય ભક્તો આવે છે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં ભારત વિજેતા બન્યું ત્યારે ઘાટકોપરના અમૃતનગરમાં રામદેવપીરનું મંદિર બંધાયું. એ સમયે દર મહિનાની સુદ બીજના મુંબઈભરના ત્રીસ-પાંત્રીસ હજાર લોકો દર્શન અને ભજન માટે આવતાં હોવાનું કહેવાય છે. અત્યારે પણ ત્યાં વાગડના રમેશભાઈ માયાણી અને સાથીદારો દર બીજના સર્વ જ્ઞાતિ માટે ભંડારો રાખે છે. ત્યાં અસંખ્ય લોકો પ્રસાદ આરોગે છે અને ભજનના કાર્યક્રમમાં ઘોર કરી પાંજરાપોળોમાં મદદ કરે છે.
રામાપીરના આવા ભક્તો, તેમનાં સેવાકીય કાર્યો અને પરચાઓનાં પાનાંનાં પાનાં ભરાય એટલે અહીં વિરામ લઈ રામદેવપીરનું જીવન ટૂંકમાં આલેખું છું. પૃથ્વીરાજ ચૌહાણના વંશજ રાજા અજમલજી જેમણે રાજસ્થાનમાં ઊહુ અને કાહુમીર નામનાં ગામ વસાવ્યાં અને પાછળથી રણુજા ગામ વસાવ્યું એ રામદેવપીરના સંસારી પિતા થાય.
રાજા અજમલજી નાનકડા રજવાડાનું સરસ સંચાલન કરતા. એક વખત ત્રણ વર્ષના કારમાં દુષ્કાળ પછી ચોથા વર્ષે ધોધમાર વરસાદ થયો એટલે વહેલી સવારે નગરના ખેડૂતો ખેતરમાં વાવણી કરવા નીકળ્યા, પરંતુ રસ્તામાં સામે મળેલા તુવરવંશના રાજા અજમલજીને જોઈ ખેડૂતો પાછા ફર્યા, કારણ કે અજમલજી અને તેમનાં રાણી મિલણદે નિઃસંતાન હતાં. વાંઝિયાનાં દર્શનને અપશુકન માની ખેડૂતો પાછા ફર્યા હતા. રાજાને આ વાતનું ખૂબ દુઃખ થયું અને રાણી મિલણદેના કહેવાથી ભગવાન શંકરની કઠોર આરાધના કરી. ભગવાન શંકરે રાજા પર પ્રસન્ન થઈ આકાશવાણી કરીને દ્વારકાધીશ કૃષ્ણની આરાધના કરવા જણાવ્યું.
દરિયાકિનારે આવેલા દ્વારકાધીશના મંદિરમાં ખૂબ ભાવપૂર્વક આરાધના કરી. દર્શન દેવા આજીજી કરવા લાગ્યા, પણ વાંઝિયાના વિલાપથી ભગવાનની મૂર્તિ તેમના પર હસતી હોય એવો આભાસ થવાથી અજમલજીએ ભેટ ચડાવવા લાવેલા મોતીચૂરના લાડુનો છુટ્ટો ઘા ભગવાનના કપાળ પર કર્યો. મંદિરના રખેવાળને લાગ્યું કે આવું કરવાથી મૂર્તિ ખંડિત થઈ જશે એટલે બલા ટાળવાના ભાવથી ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ દરિયામાં બિરાજે છે એવું કહ્યું.
ભાવમાં આવીને અજમલજીએ કૃષ્ણને મળવા દ્વારકામાં આવેલા દરિયામાં ઝંપલાવી દીધું. દરિયાનાં ઊંડાં પાણીમાં આવેલી સોનાની દ્વારકામાં ભગવાનનો ભેટો થયો. તેમના કપાળ પરથી લોહી વહેતું હતું એટલે અજમલજીએ એનું કારણ પૂછ્યું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે હસતાં-હસતાં જવાબ આપ્યો કે તેમના એક ભક્તે તેમને મોતીચૂરના લાડુ મારવાથી કપાળ લોહીલુહાણ થઈ ગયું હતું! શર્મિંદા બનીને અજમલજીએ ભગવાનની ખરા દિલથી માફી માગીને પુત્રપ્રાપ્તિનું વરદાન માગ્યું. એટલું જ નહીં, સ્વયં ભગવાન તેમના કુળમાં જન્મ લે એવી માગણી કરી. ભગવાન શ્રીકૃષ્ણએ માગણી સ્વીકારી રાજસ્થાનની મરુ ભૂમિ પર અવતાર ધારણ કરી લોકોનાં દુઃખ દૂર કરવાનાં અને લીલા રચી હિન્દવાધર્મનો પ્રસાર કરવાનું વચન આપ્યું.
આખરે રાણી મિલણદેના કૂખે એક દીકરો જન્મ્યો અને બીજા દીકરા તરીકે સ્વયં ભગવાન પારણામાં પ્રગટ થયા. પ્રગટ થતાં જ લીલા રચી. પોતાના આગમનનાં કંકુ પગલાં પાડ્યાં. પાણીના હાંડલા દૂધથી છલકાવા લાગ્યા અને પ્રભુ પારણામાં સૂતાં-સૂતાં દૂધથી ઊભરાતા હાંડલાને જોઈ પારણામાંથી હાથ લાંબા કરી હાંડલા ઉતારી લીધા. આખું નગર મંત્રમુગ્ધ થઈ ગયું. મોટા પુત્રનું નામ વિરમદેવ અને નાના પુત્રનું નામ રામદેવ રાખવામાં આવ્યું.
એક વાર નાના રામદેવે જીદ કરીને ઘોડો માગ્યો. જીદ પૂરી કરવા મિલણદેએ રાજ્યના દરજી પાસેથી મલમલના કપડામાંથી ઘોડો બનાવી દીધો. ઘોડા પર બેસતાં જ ઘોડામાં પ્રાણ પુરાયા. ઘોડો ઊડીને મહેલની બહાર ચાલ્યો ગયો. રાણી ડરી ગયા. થોડા સમયમાં ખબર પડી કે અભિમાની અને લાલચુ દરજીએ ઘોડામાં ચોરાયેલા કપડાનું થીગડું માર્યું હતું. રાજાના ડરથી અને રામદેવજીના ચમત્કારથી દરજીનું રાજદરબારી દરજી હોવાનું અભિમાન ઊતરી ગયું અને ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી.
એક ઋષિના આશ્રમમાં એક વણિક વેપારીએ કામમાં મોહાંધ બની આશ્રમની નિર્દોષ કન્યાનું શિયળ લૂંટ્યું. આ કૃત્યથી ક્રોધિત થઈ ઋષિએ વણિકને શ્રાપ આપ્યો એટલે વણિક માણસખાઉ રાક્ષસ બની ગયો. આ ભૈરવ રાક્ષસના અત્યાચારોથી લોકોને બચાવવા રામદેવે તેને હરાવ્યો. ભૈરવ રાક્ષસને ખૂબ પસ્તાવો થયો એ જાણી રામદેવે વરદાન આપતાં કહ્યું કે જ્યારે હું પીર તરીકે સ્થાન મેળવીશ ત્યારે મારા મંદિરમાં તને પણ સ્થાન મળશે અને મારા પ્રસાદમાં તારોય ભાગ રહેશે.
આજે રામદેવપીર મૈશ્વરી જ્ઞાતિમાં ખૂબ પૂજાય છે, કારણ કે ડાલી નામની એક પછાત જ્ઞાતિની છોકરીને બેન બનાવી તેના ઘરે ભોજન લીધું અને ઊંચ-નીચના ભેદ દૂર કર્યા. આજે રામદેવડામાં રામદેવપીરનાં દર્શન કર્યાં પછી સતી ડાલીનાં દર્શન કર્યાં પછી જ રણુજાની જાત્રા પૂરી થયેલી ગણાય છે. રામદેવપીરે ચમત્કારની હારમાળા સર્જી, આંધળાઓને દેખતા કર્યા, અપંગોને હાથ આપ્યા, રક્તપીતિયાઓને સાજા કર્યા. માનવ ઉદ્ધાર માટે સર્જેલા તેમણે ચમત્કારોની ખ્યાતિ સાંભળી છેક મક્કા-મદીનાથી મુસ્લિમ પીરો પરીક્ષા કરવા આવ્યા. રામદેવપીરે પોતાના અનેક પરચા બતાવ્યા એટલે હિન્દુ-મુસ્લિમની એકતા અર્થે મક્કા-મદીનાના મુસ્લિમ પીરોએ રામદેવપીરને હિન્દવાપીરની પદવી આપી. આ હિન્દવાપીરે સવર્ણ અને પછાત જ્ઞાતિ વચ્ચે ભાઈચારો સ્થાપ્યો. ડાલીબેનના આગ્રહથી તેમણે ઉમરકોટનાં કુંવરી નેત્રાદે સાથે લગ્ન રચ્યાં. નેત્રાદેને નજર નહોતી. રામદેવપીરે તેમને ચમત્કાર દ્વારા નજર આપી દેખતા કર્યાં. સમય જતાં સાદાજી અને દેવરાજજી નામના તેમને બે પુત્રો જન્મ્યા. તેમણે ધર્મ અને માનવધર્મનો પ્રચંડ પ્રચાર કર્યો. બોહિતાશેઠ નામના વેપારીનું અભિમાન ઉતારવા ભરદરિયે તેમનું વહાણ બચાવી ચમત્કાર સર્જ્યો ત્યારથી દરિયાની ખેપમાંથી પાછા ફરતા ખલાસીઓ તેમના નામનું શ્રીફળ વધેરે છે. જોધપુરના રાજાએ બંધાવેલા તળાવનું પાણી ખારું થઈ જતાં પાતાળમાં રામદેવપીરે તીર મારી મીઠું પાણી કાઢી તળાવ ભરાવ્યું ત્યારથી તળાવનું પાણી મીઠું થઈ ગયું છે. માનવતાની મહેક ફેલાવવા આવા તો કેટલાય ચમત્કારો કર્યા છેવટે સમાધિનો સંકેત મળતાં જીવતા સમાધિ લીધી અને અલખધણીની આરાધનાનો ઉપદેશ આપ્યો જેમાં સંસારમાં રહી દીન-દુખિયાની સેવા કરતાં-કરતાં પ્રભુભક્તિનો બોધ આપ્યો. તેમની સમાધિ પર ઘુઘડનો ધૂપ, નારિયેળ અને ધજા ચડાવવાથી મનોકામના પૂર્ણ થશે એવો સંકેત આપ્યો.
દહિસર વાગડ સમાજ દ્વારા શાંતિભાઈ ગડાની આગેવાનીમાં થોડાં વર્ષો પહેલાં રામદેવપીર પર મેં નાટક બનાવ્યું હતું. નાટકના અંતમાં રામદેવપીર સમાધિ લેતા જોઈ ચાલીસ કલાકારો અને મેદાન પરની હજારોની માનવમેદની ચાલીસ-પિસ્તાળીસ મિનિટ સુધી ચોધાર આંસુએ રડતી હતી. આ પણ રામદેવપીરની શ્રદ્ધાનો ચમત્કાર જ કહેવાયને? આ લેખની પૂરક માહિતી આપવા માટે હેમંતભાઈ ગોગરીનો આભાર માની વિરમું છું.
અસ્તુ.